નાના પરદે ફરી અમિતાભ બચ્ચનનો અવાજ ગૂજવાની સાથે દર્શકો સમક્ષ સવાલોની ઝડી વરસશે. અત્યાર સુધીમાં અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિની બાર સીઝન હૉસ્ટ કરી ચુક્યા છે અને તેરમી સીઝન સાત ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. અમિતાભ બચ્ચન દ્વારા હૉસ્ટ થનારા કેબીસીનું રજિસ્ટ્રેશન થઈ રહ્યુ છે.
તાજેતરમાં આયોજિત એક પ્રેસ કૉન્ફરન્સમાં અમિતાભ બચ્ચને શો અને સ્પર્ધકો સાથેના તેમના લગાવ અંગે વાત કરી હતી. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે, શોમાં પાછો આવી રહ્યો છે ત્યારે તમે કેટલા ખુશ છો? ત્યારે અભિનેતાએ કહ્યું કે મને નોકરી પાછી મળી. એ સાથે તેમણે ઉમેર્યું કે શોમાં આવનારા તમામ સ્પર્ધક સાથે રિલેટ કરી શકુ છું. લોકોને લાગશે કે હું દેખાડો કરી રહ્યો છું. પણ હકીકત એ છે કે હું મુંબઈ આવ્યો ત્યારે ઘણો સંઘર્ષ કર્યો હતો. અને જ્યારે કોઈ કન્ટેસ્ટંટ એની જર્ની શેર કરે તો હું એની સાથે કનેક્ટ થઈ શકું છું.
તમે શોની તૈયારી કેવી રીતે કરો છો પ્રશ્નના જવાબમાં અમિતાભે કહ્યું કે, તમે નહીં માનોપણ શોની શરૂઆત થાય એ પહેલા મારા હાથ-પગ ધ્રુજવા લાગે છે. હું અત્યારે અહીંથી પાછો જઇશ ત્યારે વિચારવા લાગીશ કે કાલે શું થશે, કેવી રીતે બધું મેનેજ થશે, બધું ઠીકઠાક રહેશે કે નહીં. દર વરસે શોની શરૂઆત પહેલા મારી સાથે આવું જ થાય છે.
અમિતાભે આગામી સીઝન અંગે જણાવતા કહ્યું કે, 7 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા ગેમ શોમાં ભારતની આઝાદીના 75 વરસની ઉજવણી કરવામાં આવશે. જેમાં ફૂટબોલ ખેલાડી સુનીલ છેત્રી, મશહૂર બૉક્સર મેરી કૉમ, આમિર ખાન અને કારગિલ વૉરના જાંબાજ સિપાહી ડી.પી. સિંહ સહિત અનેક વિખ્યાત હસ્તીઓ નજરે પડશે. તેઓ માત્ર સવાલોના જવાબ જન હીં આપે પણ તેમની અનુભવો પણ દર્શકોને જણાવશે.
અમિતાભ બચ્ચને કહ્યું કે કેબીસીના માધ્યમથી મનોરંજનની સાથે જ્ઞાન પણ પીરસવામાં આવે છે. પૂરો પરિવાર શો જોવાની સાથે અંદરોઅંદર ક્વિઝ રમે છે. શોની આ જ ખૂબી છે કે પૂરો પરિવારએક સાથે બેસીને એનો આનંદ માણી શકે છે. ઘરના વરિષ્ઠ સભ્યો, જેઓ ઘરની બહાર જઈ શકતા નથી તેમના માટે આ શો મનોરંજનનું મોટું માધ્યમ છે.
અમિતાભ બચ્ચનનો ક્વિઝ ગેમ શો કૌન બનેગા કરોડપતિ 7 ઓગસ્ટથી સોની ટીવી પર પ્રસારિત થશે.