પદ્મશ્રી કૈલાશ ખેર દૂરદર્શન સાથે મળીને એક અભૂતપૂર્વ સંગતમય ઓડિસી – ભારત કા અમૃત કળશ લઈને આવી રહ્યા છે. શોમાં ભારતના અમૂલ્ય લોકવારસાને ભૂલાઈ ગયેલી ધૂનોના માધ્યમ સાથે પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. મ્યુઝિક રિયાલિટી શોની સાથે કૈલાશ ખેરના સિંગલ ઓ દિલ જાનીને પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. લાંબા અરસા બાદ કૈલાશ ખેર અને બેન્ડ કૈલાશા એક નવું રોમાન્ટિક સિંગલ લઈને આવી રહ્યા છે જેમાં પ્રેમની ભાવનાત્મક યાત્રા દર્શાવવામાં આવશે.
ભારત કા અમૃત કળશ ભારતીય સંગીત અને સાંસ્કૃતિક વારસાને નવેસરથી લોકપ્રિય બનાવવા માટે કટીબદ્ધ છે. આ શો 28 રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશોની વિશિષ્ટ સંગીતમય ટેપેસ્ટ્રીના માધ્યમ દ્વારા આપણા દેશના ભવ્ય સાંસ્કૃતિક વારસાને રજૂ કરશે. આ રિયાલિટી શોના જજની પૅનલમાં સ્નેહા ખાનવલકર, દેબોજિત સાહા અને ગાયત્રી અશોકન જેવા સંગીતના તજજ્ઞો હશે. શોના મહાગુરુ હશે પદ્મશ્રી કૈલાશ ખેર, જેઓ તેમના જ્ઞાન અને અનુભવ દ્વારા કાલાતીત ધૂનોના પુનરોદ્ધાર કરવામાં સહાયભૂત બનશે.
શોનો ઉદ્દેશ સદીઓ જૂનાં લોકગીતો ફરી તૈયાર કરવાની સાથે એના રીમિક્સ તૈયાર કરી આજની પેઢીને અમૂલ્ય વારસા સાથે સાંકળવાનો છે. કોક સ્ટુડિયો ભારત દ્વારા તૈયાર કરાયેલા ખલાસી અને તકદીર બનાઓ ફકીર જેવા ગીતોને મળેલી અપ્રતિમ સફળતાથી પ્રેરાઈ ભારરત કા અમૃત કળશની પરિકલ્પના તૈયાર કરવામાં આવી છે.
21 ડિસેમ્બરે ગીતના રિલીઝ પ્રસંગે કૈલાશ ખેરે જણાવ્યું કે, ઓ દિલ જાની પ્રેમની અભિવ્યક્તિ રજૂ કરતી યાત્રા છે. લાંબા અરસા બાદ કૈલાશા બેન્ડ એક નવું સિંગલ લઈને આવ્યું છે. આ ગીતને આપની સમક્ષ રજૂ કરતા રોમાંચ અનુભવી રહ્યો છું.