દેશભરમાં અમલમાં મુકાયેલા લૉકડાઉનને કારણે દૂરદર્શનનો લોગો ફરી લોકોના ડ્રોઇંગ રૂમ સુધી પહોંચ્યો છે. દેશવ્યાપી લૉકડાઉનને કારણે ટીવી સિરિયલ્સના શૂટિંગ બંધ થતાં દૂરદર્શને રામાયણ, મહાભારત જેવી સિરિયલ ફરી નેશનલ ચૅનલ પર દર્શાવવાનું શરૂ કર્યું. આ જૂની ને જાણીતી સિરિયલોને ગજબની ટીઆરપી મળી રહી છે. એટલું જ નહીં, નેશનલ ચૅનલ તમામ ખાનગી ચૅનલો કરતા દર્શકોની સંખ્યાના મામલે ઘણી આગળ નીકળી ગઈ છે. આ બે શો ઉપરાંત દૂરદર્શને એના ખજાનામાંથી શક્તિમાન, સર્કસ, બુનિયાદ, શ્રી કૃષ્ણ જેવા હિટ શો શરૂ કર્યા છે. જોકે 25 એપ્રિલનો દિવસ દૂરદર્શન માટે ખાસ મહત્ત્વનો છે.
1982માં આજના દિવસે જ દૂરદર્શન રંગીન બન્યું હતું. 25 એપ્રિલ 1982માં દૂરદર્શને એના કલર ટેલિકાસ્ટનું પહેલું ટેસ્ટ રન શરૂ કર્યું હતું. એ અગાઉ દૂરદર્શનના કાર્યક્રમો બ્લેક એન્ડ વ્હાઇટમાં જ જોવા મળતા હતા.
ડીડી ન્યુઝે ટ્વીટ કરી આ અંગેની જાણકારી આપી હતી. ટ્વીટનો જવાબ આપતા અનેક લોકોએ જણાવ્યું કે એની ટ્યુન આજે પણ સાંભળવી ગમે છે. આપ સર્વેની જાણ ખાતર, લોગોનો કન્સેપ્ટ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ ડિઝાઇન (એનઆઈડી) દ્વારા તૈયાર કરાયો હતો. અને એને ક્રિએટ કર્યો હતો દેબાશિષ ભટ્ટાચાર્યએ. મજાની વાત એ છે કે દેબાશિષ એના પ્રોજેક્ટ માટે લોગો તૈયાર કરી રહ્યા હતા જે ભારતનો ઇતિહાસ બની ગયો.
લોગોનું એનિમેશન એનઆઈડીના જ વિદ્યાર્થી આર. મિસ્ત્રીએ તૈયાર કર્યું હતું. તો સંગીત અહમદ હુસેન અને પંડિત રવિશંકરે તૈયાર કર્યું હતું.
ઘણાને જાણ નહીં હોય કે અગાઉ લોગોમાં સત્યમ શિવમ સુંદરમ શબ્દો આવતા હતા. પરંતુ કહેવાતા બુદ્ધિજીવીઓએ એને બિનસાંપ્રદાયિક જણાવતા તત્કાલીન કોંગ્રેસ સરકારે લોગોમાંથી સત્યમ શિવમ સુંદરમ શબ્દો હટચાવી લીધા હતા. જોકે 2014માં ભાજપની સરકાર સત્તામાં આવ્યા બાદ લોગોમાં ફરી સત્યમ શિવ સુંદરમ શબ્દો ઝળકવા લાગ્યા.