આ વરસે ભારત આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે સરહદ પર પ્રાણની પરવા કર્યા વિના દેશની સુરક્ષા માટે ખડે પગે તૈનાત રહેતા આપણા વીર જવાનોની યાદમાં નિર્માતા આશુતોષ ઉપાધ્યાયે એમના ઓરિજિનલ મ્યુઝિક ગૅંગ પ્રોડક્શન હાઉસ અંતર્ગત દેશભક્તિસભર ગીત સંદેશાનું નિર્માણ કર્યુ છે. સાવન કુમાર સાવન દ્વારા લિખિત અને સ્વરબદ્ધ કરેલાં ગીતને ગાયું છે બૉલિવુડના જાણીતા ગાયક રાજા હસને. સંદેશા આલ્બમનું દિગ્દર્શન કર્યું છે વિનય સાંડિલ્યએ.
આલ્બમ વિશે નિર્માતા આશુતોષ ઉપાધ્યાયે જણાવ્યું કે, વીર જવાન બૉર્ડર પર દિવસ-રાત તેમનો જીવ મુઠીમાં રાખીને દેશની સરહદની રક્ષા કરતા હોવાથી આપણે આરામની નીંદર લઈ શકીએ છીએ. અને તેમનો દિલથી આભાર માનવા માટે સંદેશા ગીતનું નિર્માણ કર્યુ છે. તો દિગ્દર્શક વિનય સાંડિલ્યએ જણાવ્યું કે, સંદેશા નામ પ્રમાણે જ આ ગીતનું કથાનક છે. ઘરથી હજારો કિલોમીટર દૂર રહેતા જવાનોની સાથે, તેમના પરિવારજનો માટે પણ સંદેશા કેટલા મહત્ત્વના હોય છે એ વાત ગીતમાં દર્શાવવામાં આવી છે. આ ગીત જોઈ દેશભક્તિની ભાવના જાગી ઉઠશે.
ગીતમાં રાજવીર સિંહ, શિવ સિંહ, લોકિત ફૂલવાની અને અબ્રાહમ ખાનની મુખ્ય ભૂમિકા છે. સંદેશા ગીતને ઓરિજિનલ મ્યુઝિક ગૅંગ નામની યુ-ટ્યુબ ચૅનલ પર નિશુલ્ક જોઈ શકાય છે. આલ્બમના કાર્યકારી નિર્માતા છે ભૂપેન્દ્ર કુમાર નંદન.