કોરોના મહામારીના બે વરસના સમયગાળા દરમિયાન નવરાત્રિ સહિત કોઈ પણ જાહેર કાર્યક્રમોના આયોજન થઈ શક્યા નહોતા. હવે તમામ પ્રતિબંધો હટાવી લેવાયા હોવાથી ખેલૈયાઓ નવરાત્રિની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. એમાંય પશ્ચિમના ઉપનગરોના ગરબાના શોખીનો માટે તો આનંદના સમાચાર છે કે ફાલ્ગુની પાઠક સતત પાંચમીવાર બોરિવલી ખાતે ગરબાની ધૂમ મચાવવાની છે. આ અંગેની જાહેરાત તાજેતરમાં બોરિવલી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કરવામાં આવી હતી. 2016થી સતત બોરિવલીમાં ધૂમ મચાવનાર ફાલ્ગુની પાઠક મહામારી બાદ ફરી બોરિવલીમાં ધૂમ મચાવવા આવી રહી છે.
શો ગ્લિટ્સ ઇવેન્ટ્સ ઍન્ડ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવની જાણકારી આપવા આયોજિત કાર્યક્રમમાં ફાલ્ગુની પાઠકે જણાવ્યું હતું કે, કોરોના જેવી મહામારીના બે વરસના સમયગાળામાં લોકોએ ઘણું સહન કર્યું છે. પોતાના કુટુંબીજનો ગુમાવ્યા છે. મેં પણ મારા આપ્તજનોને ગુમાવ્યા છે. આ કપરા કાળનો સામનો કર્યા બાદ લોકો ફરી તેમની સામાન્ય જિંદગી જીવવાની શરૂઆત કરી છે. હું મા જગદંબાને પ્રાર્થના કરૂં છું કે એ લોકોને સુખ-સમૃદ્ધિ અને સુરક્ષા અર્પે. એ સાથે કોરોના જેવી મહામારી ફરી ન આવે એવી પ્રાર્થના. જેમ લોકો નવરાત્રિમાં ગરબા રમવા તરસી રહ્યા છે તેમ સ્ટેજ પરથી લોકોને ગરબામાં ઝૂમતા જોવા હું પણ આતુર છું.
બે વરસ બાદ નવરાત્રિ યોજાઈ રહી છે તો કંઈ નવી આઇટમ લઈને આવવાના છો પ્રશ્નના જવાબમાં ફાલ્ગુનીએ કહ્યું, હંમેશની જેમ હિન્દી-ગુજરાતી ગીતો, ગરબાની સાથે આ વખતે આદિવાસી ગીતો પણ રજૂ કરવાની છું. બાકી એન્ટ્રી હોય કે નવું પર્ફોર્મન્સ, એ તો ગ્રાઉન્ડ પર આવીને જુઓ તો જ એની મજા છે.
આ પ્રસંગે ઉપસ્થિત ઉત્તર મુંબઈના સંસદ સભ્ય ગોપાળ શેટ્ટીએ કહ્યું કે, ઉત્તર મુંબઈ અને ખાસ કરીને બોરિવલીના લોકો દરેક તહેવાર આનંદ ઉલ્લાસથી મનાવતા હોય છે. અને એટલા માટે જ મહારાષ્ટ્રની સૌથી મોટી નવરાત્રિ સતત પાંચમીવાર બોરિવલીમાં યોજાઈ રહી છે. એ સાથે તેમણે કહ્યું હતું કે તેઓ રાજ્યના મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનને મળી નવરાત્રિમાં ચાર દિવસ રાત્રે બાર વાગ્યા સુધી રમવાની પરવાનગી આપવાની માગણી કરશે.
ફાલ્ગુની પાઠકની નવરાત્રિના આયોજક શો ગ્લિટ્સ ઇવેન્ટ્સ ઍન્ડ એન્ટરટેઇન્મેન્ટના ડિરેક્ટર સંતોષ સિંહે જણાવ્યું કે, બોરિવલીમાં યોજાનાર નવરાત્રિને અમે ચેરિટીનું માધ્યમ બનાવ્યું છે અને નવરાત્રોત્સવ દરમિયાન થનારી આવકનો એક હિસ્સો કેન્સર પીડિતો માટે આપવામાં આવશે.