વિખ્યાત દિગ્દર્શક મહેશ માંજરેકરની આગામી ફિલ્મ વેડાત મરાઠી વીર દૌડલે સાતમાં અક્ષય કુમાર છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકામાં દેખાશે. ફિલ્મના નિર્માતા છે વસિમ કુરેશી. ફિલ્મની વાર્તા એવા સાત યોદ્ધાઓનો એક માત્ર ઉદ્દેશ છે શિવાજીના સ્વરાજ્યનાં સપનાને સાકાર કરવું. ફિલ્મ માત્ર એક વાર્તા નથી, એ કહે છે હિંદવી સ્વરાજ્યની સફળતાની, અને નિઃસ્વાર્થ બલિદાનની વાત.
દિગ્દર્શક મહેશ માંજરેકર, નિર્માતા વસિમ કુરેશી અને વેડાટ મરાઠે વીર દૌડલે સાતના કલાકારો સાથે થયેલા મુહૂર્તમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને મનસેના સુપ્રીમો રાજ ઠાકરે ઉપસ્થિત રહ્યા હતા.
ફિલ્મમાં શિવાજી મહારાજની ભૂમિકામાં ઝળકનાર અક્ષય કુમારે કહ્યું કે, મારું સપનું સાકાર થઈ રહ્યું છે.મોટા પરદે છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવવી એ મોટી જવાબદારીનું કામ છે. ઉપરાંત હું પહેલીવાર મહેશ માંજરેકર સાથે કામ કરીશ જે મારા માટે નવો જ અનુભવ હશે.
દિગ્દર્શક મહેશ માંજરકરે કહ્યું કે, આ ફિલ્મ મારો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ પર હું છેલ્લા સાત વરસથી કામ કરી રહ્યો હતો. આ એવો વિષય છે જેમાં ધ્યાન કેન્દ્રિત કરી સંશોધન કરવું પડે. મરાઠીમાં બનેલી આ ભવ્યાતિ ભવ્ય ફિલ્મ હશે અને ભારતભરમાં રિલીઝ કરવામાં આવશે. સૌથી શક્તિશાળી હિન્દુ રાજા છત્રપતિ શિવાજી મહારાજની વાત તમામ ભારતીયો સુધી પહોંચે એવી મારી ઈચ્છા છે. હું ઘણો ભાગ્યશાળી છું કે શિવાજી મહારાજની ભૂમિકા અક્ષય કુમાર ભજવી રહ્યો છે.મારું માનવું છે કે આ ભૂમિકા માટે એ એકદમ પરફેકટ છે.
કુરેશી પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત ફિલ્મ 2023ની દિવાળીમાં રિલીઝ થશે. ફિલ્મ મરાઠી ઉપરાંત હિન્દી, તેલુગુ અને તમિલમાં પણ રિલીઝ કરાશે.