દંગલ ટીવી પર પ્રસારિત થઈ રહેલા લોકપ્રિય શો સિંદૂર કી કિમતમાં અર્જુન અને મિસરીએ કરેલાં કોન્ટ્રાક્ટ મેરેજને કારણે ઘરમાં મહાભારત સર્જાયું છે. લગ્ન બાદ ગૃહપ્રવેશ ટાણે તમામ વિધિ સાથે બંનેએ ઘરમાં પ્રવેશ તો કર્યો પણ ઘરના સભ્યો એને સ્વીકારશે ખરા? આ યક્ષ પ્રશ્ન દર્શકો સમક્ષ ખડો થયો છે.
સિંદૂર કી કિમત સિરિયલની આ મહત્ત્વપૂર્ણ સિક્વંસનું શૂટિંગ મીરા રોડ સ્થિત સ્ટુડિયોમાં થઈ રહ્યું હતું. સીન પૂરો થયા બાદ અભિનેત્રી વૈભવી હેંકરેએ ફિલ્મી ઍક્શનને જણાવ્યું કે, રિયલ લગ્નના આનંદ જ અનેરો હોય છે, પણ મિસરીના તો કોન્ટ્રાક્ટ મેરેજ થઈ રહ્યાં છે અને એમાં અનેક શરતો હોવાથી એ જરાય ખુશ નથી. પિતાને બચાવવા મજબૂરીથી લગન કરવા પડે છે. પિતાને બચાવવા મિસરી કંઈ પણ કરવા તૈયાર છે. મિસરીએ ભલે શણગાર સજ્યા હોય પણ નવવધુ જેવી કોઈ લાગણીઓ અનુભવી શકતી નથી. કારણ, અર્જુનનો પરિવાર એને સ્વીકારશે કે નહીં એ મોટો પ્રશ્ન છે. મિસરી મસ્તીખોર છે પણ ઉદ્ધત નથી. એ મોટાને આદર આપે છે અને કોઈ સાથે ખોટું કરવામાં માનતી નથી.
તો અર્જુનની ભૂમિકા ભજવી રહ્લા શહજાદ શેખે કહ્યું કે, સિંદૂર કી કિમતમાં આ એક મોટો ટ્વીસ્ટ છે. મારી માતા પ્રિયા સાથે લગ્ન કરવા એટલું દબાણ કરે છે કે એનાથી બચવા અન્ય યુવતી (મિસરી) સાથે લગ્ન કરી લે છે. મિસરી સાથે એક વરસ માટેનો લગ્નનો કોન્ટ્રાક્ટ કર્યો છે. અમારા બંને માટે કોન્ટ્રાક્ટ મેરેજ કરવા એક મજબૂરી હતી. પણ દર્શકોને હું અપીલ કરૂં છું કે રિયલ લાઇફમાં આવા મેરેજ કરવાનું વિચારે નહીં.
અર્જુનની માતાનું પાત્ર ભજવી રહેલી જસવિંદર ગાર્ડનરે કહ્યું કે અર્જુને કરેલા લગ્નએ અમને બધાને હેરાનપરેશાન કરી મુક્યા છે. તો દાદીનું પાત્ર ભજવી રહેલી માધવી કહે છે કે હું આ લગ્નને ટકવા નહીં દઉં.