આજકાલ સોશિયલ મીડિયા થકી લોકોને છેતરવાનો ધંધો ફૂલીફાલી રહ્યો છે. અમુક ટોળકી નકલી અકાઉન્ટ બનાવી લોકોને લૂંટવાનું કામ કરી રહી છે. ધૂતારાઓએ સેલિબ્રિટીને પણ છોડ્યા નથી. તાજેતરમાં રાધાકૃષ્ણ સિરિયલમાં કૃષ્ણની ભૂમિકા ભજવતા કલાકાર સુમેધ મુદગલકરના નામે પણ લોકોને ઠગવાની કોશિશ કરવામાં આવી હતી. આ અંગેની જાણકારી ખુદ સુમેધે આપી હતી.
સુમેધે જણાવ્યું કે ફેસબુક પર એના નામનું એક ફેક અકાઉન્ટ છે જે એના ચાહકો પાસેથી પૈસા કઢાવવામાં લાગ્યું છે. અમોધે ઇન્સ્ટા સ્ટોરીમાં લખ્યું હતું કે, બધા માટે એક જાણકારી… ફેસબુક પર એક વ્યક્તિ મારા નામનો ઉપયોગ કરી લોકોને પ્રોજેક્ટમાં મદદ કરવા માટે પૈસા માંગી રહી છે. આ નકલી અકાઉન્ટ છે. પૈસા આપતા નહીં, બસ એની જાળમાં ફસાતા નહીં.
અભિનેતાએ એના ઇન્સ્ટા સ્ટોરી પર એક ઓર પોસ્ટમાં લખ્યું હતું કે, હું હંમેશ લોકોને આ બધી બાબતોથી દૂર રહેવા જણાવું છું. હું એ વ્યક્તિના ફેસબુક આઇડી આપી રહ્યો છું. પૈસા આપતા નહીં પણ થોડી મજા લેજો. આપનું ધ્યાન રાખજો.
એ સાથે સુમેધે થોડા સ્ક્રીન શોટ શેર કર્યા છે, જેમાં ફેક અકાઉન્ટવાળી વ્યક્તિ લોકો સાથે ચેટ કરીને પૈસા માંગી રહી છે. આ વ્યક્તિ 35 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરવાની વાત કરી રહ્યો છે, જેમાં હવે પાંચ કરોડ રૂપિયાની જ જરૂર છે.