સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાને પગલે રાજકારણ ગરમાઈ રહ્યુ છે. ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ સોશિયલ મીડિયા પર નવેસરથી અભિયાન શરૂ કર્યું છે. સુશાંતને ન્યાય અપાવવા માટે સુબ્રહ્મણ્યમ સ્વામી આગળ આવતા અભિનેતાના ચાહકોના જુસ્સામાં ઓર વધારો થયો છે. સ્વામી પણ હવે સુશાંત મામલે સીબીઆઈની તપાસની માંગણી કરી રહ્યા છે. દરમ્યાન, સ્વામીએ બૉલિવુડના ત્રણેય ખાનને આડે હાથ લીધા છે.
સુબ્રહ્મણ્યમ સ્વામીએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને બૉલિવુડના ત્રણેય ખાન, શાહરૂખ-સલમાન-આમિર પર નિશાન સાધ્યું છે. સુબ્રહ્મણ્યમે ટ્વીટ કરીને આ કલાકારોની ચુપકિદી પર સવાલો ખડા કર્યા છે. તેમણે લખ્યું હતું, આ સમય બૉલિવુડના બાહુબલી સલમાન, શાહરૂખ અને આમિર સુશાંતની કથિત આત્મહત્યા પર કેમ ચૂપ છે? એ લોકો કેમ કંઈ બોલતા નથી? માત્ર, દેખાડા માટે આ ત્રણેય કલાકારોએ ટ્વીટર પર સુશાંતને શ્રદ્ધાંજલિ તો આપી હતી, પણ હવે મામલો કંઇક અલગ છે. લોકોના હિસાબે સુશાંતે આત્મહત્યા નથી કરી, પણ એ નેપોટિઝમનો શિકાર બન્યો છે. એટલે સીબીઆઈ દ્વારા તપાસ કરવાની માંગણી થઈ રહી છે.
સ્વામીએ ત્રણેય ખાન પર સવાલો ખડા કરતા ટ્વીટ પર લખ્યું હતુ કે તેઓ કેમ સુશાંત માટે ન્યાયની માંગણી કરતા નથી. સ્વામીની આ પોસ્ટ પર સુશાંતના ચાહકો દિલથી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે જ્યારે સંજય દત્તને જેલની સજા થઈ ત્યારે બૉલિવુડ આખું એની પડખે ઊભું રહ્યું હતું. પણ સુશાંત મામલે આવું જોવા મળતું નથી.
થોડા દિવસ અગાઉ સુબ્રહ્મણ્યમે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સુશાંત મામલે તેમણે એક વકીલની નિયુક્તિ કરી છે અને વકીલને તમામ દસ્તાવેજો ભેગા કરવા જણાવ્યું છે. સ્વામીએ જણાવ્યું કે જરૂર પડી તો સુશાંતના કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવામાં આવશે.
સ્વામીએ આજે ફરી ટ્વીટ કરી સવાલો ખડા કર્યા છે કે ત્રણે ખાન મસ્કેટિયર્સે ભારત અને વિદેશમાં, ખાસ કરીને દુબઈ ખાતે જે મિલકતો લીધી છે એની તપાસ થવી જોઇએ. કોણે તેમને બંગલો અને મિલકત ભેટમાં આપી છે કે કેવી રીતે ખરીદી છે આ કાર્ટેલની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની એસઆઈટી, આવકવેરા અને સીબીઆઈ દ્વારા થવી જોઇએ. શું તેઓ કાયદાથી પર છે?