શિવસેનાના નેતા એકનાથ શિંદેએ પોકારેલા બંડે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. એમાં હવે નવો ફણગો ફૂટે એવી શક્યતા છે. થોડા દિવસ પહેલાં શિવસેનાના નેતા દિવંગત નેતા આનંદ દીઘેની જીવની પર આવેલી ફિલ્મ ધર્મવીરને કારણે ઠાકરે-શિંદે વિવાદ વકર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
થોડા દિવસ પહેલાં શિવસેનાના દિવંગત નેતા આનંદ દીઘે પર બનેલી ફિલ્મમાં એકનાથ શિંદેના અમુક દૃશ્યો હતા. ફિલ્મના અંતના એક સીનને કારણે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચે વિવાદ થયો હોવાની ચર્ચા થઈ રહી છે.
ક્યા સીનને કારણે વિવાદ થયો?
આનંદ દીઘેને હોસ્પિટલમાં મળવા આવેલા રાજ ઠાકરે (ઉપર) અને ફિલ્મના અંતિમ દૃશ્યમાં બંને નેતાઓ (નીચે)
ફિલ્મના એક પ્રસંગમાં આનંદ દીઘે હોસ્પિટલમાં છે. તેમને મળવા રાજ ઠાકરે (હાલ મનસેના પ્રમુખ) આવ્યા હતા. એ સમયે દીઘે રાજ ઠાકરેનો હાથ હાથમાં લઈ કહે છે કે, હિન્દુત્વ હવે તમારા હાથમાં સુરક્ષિત છે. ફિલ્મનું આ દૃશ્ય ઉદ્ધવ ઠાકરેને પસંદ ન પડતા ઉદ્ધવ ફિલ્મનો ક્લાઇમનેક્સ જોયા વગર જ નીકળી ગયા.
આ દૃશ્ય ફિલ્મમાંથી કટ કરવાની માગણી કરવામાં આવી અને આ અંગે એકનાથ શિંદેને પણ જાણ કરવામાં આવી હતી. જોકે આ પ્રસંગને કારણે બંને નેતાઓ વચ્ચે વિવાદ થયો હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે.