7-8 મહિનાથી ચાલી રહેલા લૉકડાઉન બાદ અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ પણ શરતી. લૉકડાઉનને કારણે લોકો એટલા ત્રાસી ગયા કે જે મનમાં આવે એવા ઉપાયો કરવા લાગ્યા છે. હવે ગોકુળધામમાં રહેતા વૈજ્ઞાનિક ઐયર પણ લૉકડાઉનને કારણે એટલા અકળાયા છે કે તેમણે અખંડ તપસ્યા કરવાનું પણ લીધું. તેમનું કહેવુ છે કે દુનિયાએ આટલી પ્રગતિ કરી હોવા છતાં વેક્સીન શોધી શકાઈ નથી. અને ઐયર જ્યાં સુધી બીમારી દૂર કરવાનો ઉપાય મળે નહીં ત્યાં સુધી અખંડ તપસ્યા કરવાનો નિર્ણય લે છે.
ઐયર એની પત્ની બબિતાને તેમના વિચાર અંગે જાણ કરે છે અને વિનંતી કરે છે કે એને કોઈ હેરાન-પરેશાન ન કરે. છેલ્લા 6-7 મહિનાથી ઐયર ઘરમાં જ છે અને એને કારણે તાણ વધતા એની અસર માનસિક સંતુલન પર પડી રહી છે. ઐયરની તપસ્યાનું કારણ જાણી બબિતા અસ્વસ્થ બની જાય છે. બબિતા સમજાવવાની ઘણી કોશિશ કરે છે પણ ઐયર તપસ્યા માટે અડગ છે. એ પતિને સમજાવે છે કે આમ ભૂખ્યા-તરસ્યા રહેવાથી કોઈ ઉપાય નહીં મળે અને શરીર પર ખરાબ અસર થઈ શકે છે.
ઐયર એના નિર્ણય પર અડગ હોવાથી બબિતા દલીલો કરવાનું છોડી દે છે. દિવસ આખો ખાધાપીધા વગર ઐયરને તપસ્યા કરતા જોઈ બબિતા ટેન્શનમાં આવી જાય છે અને કોઈ પણ હિસાબે ઐયરનું તપોભંગ કરવાનો નિશ્ચય કરે છે. બબિતા મેનકા બની વિશ્વામિત્ર બનેલા પતિની તપસ્યા ભંગ કરવાનો પ્રયાસ કરે છે. શું પત્નીનું મેનકા સ્વરૂપ જોઈ ઐયરનો તપોભંગ થાય છે કે મેનકાએ હથિયાર હેઠા મુકવા પડે છે એ જાણવું ઘણું રસપ્રદ રહેશે.