ફિલ્મ, નાટક વગેરેના કલાકારોને જતી જિંદગીએ એકલતાભર્યું જીવન વ્યતીત કરવું ન પડે એ માટેના લતા મંગેશકરના ડ્રીમ પ્રોજેક્ટ કલાકારો માટેના વૃદ્ધાશ્રમ નાશિક ખાતે બનાવવામાં આવી રહ્યો છે. દિવંગત ગાયિકાએ ગયા વરસે જુલાઈમાં ફાઉન્ડેશનનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં કૉ-ફાઉન્ડર તરીકે ઉષા મંગેશકર, ભત્રિજી રચના શાહ અને મંગેશકર પરિવારના નજદિકના મિત્ર સંગીતકાર મયુરેશ પઈ છે. તો એની સલાહકાર સમિતિના સભ્યો છે ગાયક સોનુ નિગમ અને નિર્માતા-દિગ્દર્શક મધુર ભંડારકર.
વૃદ્ધાશ્રમ અંગે રચના શાહે એક મુલાકાતમાં જણાવ્યું કે, આ ફાઉન્ડેશન એવા કલાકારો માટે વૃદ્ધાશ્રમ બનાવી રહ્યુ છે જેઓ તેમના અંતિમ પડાવમાં સાવ એકલા અટૂલા પડી ગયા હોય. લતા મંગેશકર હંમેશા વરિષ્ઠ કલાકારોને પરંપરા, જ્ઞાન અને કલાના સ્રોત તરીકે માનતાં હતાં. એવા સમયના પ્રહરી જેઓ આવનારી પેઢીને એક સમૃદ્ધ વારસો સોંપતા હોય છે.
સ્વર માઉલી ફાઉન્ડેશન એક એનજીઓ છે જેના અંતર્ગત બનનારું વૃદ્ધાશ્રમ ફિલ્મ-નાટ્ય જગત સહિત અન્ય કલા ક્ષેત્રના ગુમનામીમાં જીવતા, શારીરિક રીતે અક્ષમ બનેલા કલાકારોનું ઘર હશે. અહીં કલાકારો ઉપરાંત અન્ય જરૂરિયાતમંદ વરિષ્ઠ નાગરિકોને પણ આ સુવિધા આપવામાં આવશે. અહીં વિશ્વસ્તરીય રહેઠાણો, ડૉક્ટર ઑન કૉલ, પૌષ્ટિક આહાર ઉપરાંત સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ હશે કે કલાકારો પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા પ્રદૂષણ રહિત વાતાવરણમાં શાંતિપૂર્વક રહી શકશે. વૃદ્ધાશ્રમ માટે નાશિક-ઇગતપુરી પાસેની સાડા ત્રણ એકર જમીન પર એક વરસમાં વૃદ્ધાશ્રમ તૈયાર કરાશે એમ ટ્રસ્ટના સભ્ય મધુર ભંડારકરે જણાવ્યું હતું.
લતા મંગેશકર અવસાન પામ્યાં એના થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યુમાં તેમના ડ્રીમ પ્રોજેક્ટ અંગે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વૃદ્ધાવસ્થામાં તમારી સાથે એક પરિવાર હોય એ અત્યંત આનંદ, આશીર્વાદ અને સાંત્વનાની વાત છે. પરંતુ એવા લોકોનું શું જે તેમના આખરી દિવસોમાં એકલા પડી ગયા હોય? મારી નજર સમક્ષ અમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એવા દિગ્ગજો છે જેઓ એકલતાની અવસ્થામાં મૃત્યુ પામ્યા છે. મેં સાંભળ્યું છે કે લલિતા પવારજી અને અચલા સચદેવજી, તેઓ મહાન કલાકાર હોવા છતાં તેમની સાથે અંતિમ દિવસોમાં કોઈ જ નહોતું, એમ લતાજી દુખી સ્વરે જણાવ્યું હતું.
લતા મંગેશકરનું આ વરસે 6 ફેબ્રુઆરીના 92 વરસની વયે મલ્ટી-ઓર્ગન ફેલ્યોરને કારણે મુંબઈમાં અવસાન થયું હતું.