રાજ કુમાર સાથેની મેહુલ કુમારની પહેલી ફિલ્મ અને કમબેક કર્યા પછીની રાજ કુમારની પહેલી ફિલ્મ મરતે દમ તક 17 જુલાઈ, 1987ના રિલીઝ થઈ હતી. આ સુપરહિટ ફિલ્મને રિલીઝ થયાના 35 વરસ પૂરા થયા. ફિલ્મે ત્યારે ગોલ્ડન જ્યુબિલી ઉજવી હતી. મેહુલ કુમાર લિખિત-દિગ્દર્શિત અને પ્રાણલાલ મહેતા નિર્મિત મરતે દમ તકમાં રાજ કુમાર ઉપરાંત ગોવિંદા, ફરાહ, શક્તિ કપૂર, ઓમ પુરી સહિત અન્ય કલાકારો હતા. ફિલ્મનું સંગીત રવિન્દ્ર જૈને આપ્યું હતું.
મેહુલ કુમાર બૉલિવુડના એક માત્ર ફિલ્મ સર્જક છે જેમની સાથે રાજ કુમારે ત્રણ ફિલ્મો કરી હતી. જેમાં મરતે દમ તક, જંગબાઝ અને તિરંગાનો સમાવેશ થાય છે. 35 વરસ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ સાથે સંકળાયેલી અને ક્યારેય ભૂલી ન શકાય એવી રોચક અને લાગણીસભર વાતોને મેહુલ કુમારે વાગોળી હતી.
મરતે દમ તકના શૂટિંગ સમયનો એક કિસ્સો યાદ કરતા મેહુલ કુમાર કહે છે કે, લંચ બ્રેક દરમિયાન રાજ કુમારના મેનેજર મારી પાસે આવ્યા અને કહ્યું રાજ સાબ તમને બોલાવે છે. હું તેમને મળવા ગયો તો ઊભા થઈને મને ભેટી પડ્યા અને કહ્યું, આઇ લાઇક યોર નેચર એન્ડ યોર સ્ટાઇલ. મેહુલ કુમાર કહે છે કે મને કંઈ સમજ પડતી નહોતી કે તેઓ હકીકતમાં આમ કહી રહ્યા છે કે મહેણુ મારી રહ્યા છે. મને અવઢવમાં પડેલો જોઈ તેમણે ખુલાસો કરતા કહ્યું, મારી ફિલ્મના દિગ્દર્શકને પહેલા જ દિવસે કોઈ મનઘડંત સજેશન કરું છું. જો દિગ્દર્શક મારી વાત માની લે તો પૂરી ફિલ્મ દરમિયાન સજેશન કરતો રહું છું. અને જો દિગ્દર્શક મારું સૂચન માને નહીં અને એના વિઝનથી મને કન્વિન્સ કરે તો હું એ દિગ્દર્શકને સરેન્ડર થઈ જઉં છું.
જોકે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બનેલો એક કિસ્સો હું ક્યારેય ભૂલી શકીશ નહીં. ફિલ્મનું શૂટિંગ ખંડાલા ખાતે ચાલી રહ્યું હતું. આ પ્રસંગને યાદ કરતા મેહુલ કુમાર કહે છે કે, અમે રાજ કુમારના પાત્રની સ્મશાન યાત્રાનું દૃશ્ય ફિલ્માવી રહ્યા હતા. આ દૃશ્ય માટે એકાદ હજાર કલાકારો ઉપસ્થિત હતા. એક નકલી મૃતદેહને ફૂલહાર ચઢાવી તૈયાર રાખવામાં આવ્યો હતો. આ સીન ક્રેનથી ફિલ્માવી રહ્યો હતો ત્યારે રાજ કુમારે મને તેડું મોકલ્યું. મને શું કામ બોલાવી રહ્યા છે એ સમજાયું નહીં. હું તેમની પાસે ગયો ત્યારે આર્ટ ડિપાર્ટમેન્ટનો એક માણસ હાર લઈને ઊભો હતો. હું પહોંચ્યો ત્યારે રાજ સાબે મને કહ્યું, મેહુલ આ હાર મને પહેરાવો. હું હજી કારણ પૂછું એ પહેલાં જ તેમણે કહ્યું કે, મને ખબર છે કે હું હંમેશ માટે જઇશ ત્યારે આ મોકો તમને નહીં મળે. એટલે હું ઇચ્છું છું કે આ અવસર હું તમને આજે જ આપું.
રાજ કુમારની વાત સાંભળી હું તો જડવત બની ગયો. રાજ કુમારે મને જીવતા જાગતા રાજ કુમારને શ્રદ્ધાંજલિ આપવાનું કહી રહ્યા છે. શું કહેવું, કરવું કંઈ સમજાતું નહોતું. ધ્રુજતા અવાજે હું એટલું જ બોલી શક્યો કે આવું શું કામ બોલો છો? ભગવાન તમને સો વરસના કરે. તેમણે વાત ટાળી દીધી અને હું પાછો શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયો.
આ ઘટનાના થોડા વરસો બાદ હું અમિતાભ બચ્ચન અને ડિમ્પલ કાપડિયા સાથે મહેબૂબ સ્ટુડિયોમાં મૃત્યુદાતાનું શૂટિંગ કરી રહ્યો હતો. ત્યારે રાજ સાબના ઘરેથી ફોન આવ્યો. મને કહેવામાં આવ્યું કે રાજજી હવે આ દુનિયામાં રહ્યા નથી. જેમણે ફોન કર્યો હતો તેમણે કહ્યું કે તમારું નામ એવા લોકોની યાદીમાં છે જેમને રાજ કુમારે તેમના મૃત્યુ બાદ ઘરે બોલાવવાનું કહ્યું હતું.
રાજ કુમારના નિધનના સમાચાર સાંભળી તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા શૂટિંગના પેક અપનું વિચારવાની સાથે ફોન કરનારને પૂછ્યું કે અંતિમવિધિ ક્યારે છે. તો સામેથી જવાબ મળ્યો તેમના અંતિમ સંસ્કાર તો થઈ ગયા છે. પણ મૃત્યુ પામ્યા એના થોડા દિવસ પહેલાં તેમણે તેમની નજદિકના લોકોની યાદી બનાવી હતી જેમને અંતિમ સંસ્કાર બાદ બોલાવવાના હતા. શૂટિંગ અધુરૂં મુકી હું રાજ સાબના ઘરે ગયો ત્યારે ભાભીએ મને કહ્યું કે તેઓ નહોતા ઇચ્છતા કે તેમની સ્મશાન યાત્રા તમાશો બને.
એ સમયે મને રાજ કુમારે મરતે દમ તકના શૂટિંગ વખતે કહેલી વાત યાદ આવી જ્યારે રાજ કુમારે કહ્યું હતું કે મેહુલ, આ હાર તમે મને પહેરાવો પાછો આવો મોકો તમને નહીં મળે.