કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાય-વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન- ૩ના સફળ ૩૬ સેશન બાદ ગઈ કાલે (સોમવારે) ગુજરાતી રંગમંચન ઘેઘુર અવાજ ધરાવતા અને ઉમદા કલાકાર મેહુલ બુચ એમના મિત્રો અને પ્રેક્ષકો સાથે લાઈવ વાતો કરવા પધાર્યા. એમના જ શબ્દોમાં કહીએ તો ૧૯૮૯માં કાંતિ મડિયાના વર્કશોપમાં શરૂઆત કરી. કાંતિભાઈ એ મને કહ્યું હતું કે એક દિવસ તું મારા નાટકમાં કામ કરીશ. અને બિરલા ક્રીડા કેન્દ્રના પહેલે માળે રિહર્સલ શરૂ થયા જ્યાં રંગભૂમિના નામાંકિત કલાકારો સાથે રિહર્સલ શરૂ થયા અને હું ધન્ય થઈ ગયો. કાંતિભાઈના સહાયક તરીકે કામ શરુ કર્યું અને એક નાનકડી એન્ટ્રી મારતો. ત્યારબાદ કાંતિ મડિયાનાં જ “સ્નેહ રંગ” નામના નાટકમાં અરવિંદ ત્રિવેદી અને કલ્પના દીવાન સાથે કામ કર્યું. લગભગ દરેક મોટા કલાકારો સાથે કામ કરવાનો અવસર મળ્યો. ઘણું શીખ્યો, હજુ પણ શીખી રહ્યો છું. ૧૯૯૯ના અંતમાં એક સરસ મજાની ઍડ મળી. ત્યાર બાદ તો ૨૩૨ જાહેરખબરોમાં કામ કર્યું. એ પછી તો અનેક ગુજરાતી અને હિન્દી સિરિયલોમાં ઘણું કામ કર્યું. આજે હું જે કંઈ પણ છું એના પાયામાં માત્ર અને માત્ર ગુજરાતી થિયેટર છે.
“એક્ટર ઑન સ્ટેજ ઑફ સ્ટેજ” વિષય પર વાત કરતાં મેહુલભાઈ જણાવ્યું કે વર્ષો પહેલાં કોઈએ મને કહ્યું હતું કે, તને થિયેટર સાથે શું લાગે વળગે? ત્યારે આ વાત મનમાં ઘર કરી ગઈ પણ કામ કરતો રહ્યો. રંગભૂમિના લગભગ દરેક પાસાઓ સાથે સંકળાયેલા મેહુલભાઈ જણાવ્યું કે છઠ્ઠા ધોરણમાં હતો ત્યારથી સ્કૂલનાં નાટકોમાં કામ કરવાની શરૂઆત કરેલી. ઑન સ્ટેજ વ્યક્તિ એક પાત્ર તરીકે જીવે છે. પણ જેવો એ રંગમંચ છોડે છે કે તરત એ અભિનેતા થઇ જાય જાય છે. તેમણે સરસ ઉદાહરણ આપતા કહ્યું કે “પારો એટલે કે મર્ક્યુરી જ્યારે બીબામાં પડે ત્યારે બીબા જેવો જ આકાર લઈ લેશે અને જેવો બીબામાંથી બહાર નીકળે ત્યારે ફરી નવો આકાર મેળવવા અધીરો થઇ જાય છે” એવું અભિનેતાનું છે. સ્ટેજ ઉપર પાત્રની અંદર ઢળીને કલાકાર બની જાય છે. પણ નાટકની બહાર નીકળતા જ પાત્રમાંથી નીકળીને વ્યક્તિ તરીકે જીવવું પડે છે. દર વખતે કલાકારને સારા પાત્રો ન પણ મળે ત્યારે ઘરમાં બેસી રહેવા કરતા આપણી જાતને મનાવીને ઑફ સ્ટેજ વ્યક્તિમાંથી પરિવાર માટે અને પોતાના માટે ઑન સ્ટેજ કલાકાર તરીકે આવવું જ પડે. યુવાનો માટેની ખૂબ જ સરસ વાત કરી મેહુલભાઈ કે, ઑફ સ્ટેજ જીવન ચલાવવા, આજીવિકા મેળવવા ઑન સ્ટેજ નાટકોના પાત્ર સાથે કોમ્પ્રોમાઇઝ કરી રૂપિયા કમાવા જ પડે છે. નાટકની સૌથી સારી વાત એ કે એમાં કેશ કવર મળે અને નાટકની સૌથી ખરાબ વાત પણ એ જ કે એમાં કેશ કવર મળે. રોજ રોકડા રૂપિયા મળે ત્યારે તમને એ રોકડ રકમની કિંમત નથી સમજાતી અને ભવિષ્યનો વિચાર કર્યા વગર તમે એ રોકડ રોજ ઉડાડી મૂકો છો. પણ જો એ સમજદારી પૂર્વક સચવાય તો ઑફ સ્ટેજ દુખી થવાનો અવસર ન આવે.
આવી તો ઘણી સમજદારી પૂર્વકની વાતો મેહુલભાઈએ એમના લાઈવ સેશનમાં જણાવી જે આપ કોકોનટ થિયેટરનાં લાઈવ સેશનમાં જોઈ શકો છો. તમે જો મેહુલભાઈ અને બીજા ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે ૬.૦૦ વાગ્યે લાઈવ જોઈ શકો છે. હવે પછીની સેશનમાં આવનારા મહેમાનોમાં વંદના પાઠક, ટીકુ તલસાણીયા, દર્શન જરીવાલા, રાજેશ જોશી, ઉમેશ શુક્લા મીનળ પટેલ, રાગી જાની, જીતેન્દ્ર ઠક્કર, સિતાંશુ યશશ્ચંદ્ર જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોવાનો લ્હાવો મળશે. તો આજે જ કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજ ને લાઈક એન્ડ ફોલો કરો અને મળો આપના મનગમતા મહેમાનને.