ફિલ્મ નિર્માતા નિતિન મનમોહનનું ગુરુવારે સવારે મુંબઈ ખાતે અવસાન પામ્યા. બોલ રાધા બોલ, લાડલા જેવી હિટ ફિલ્મોના નિર્માતાને આ મહિનાના પહેલા અઠવાડિયે હૃદયરોગનો ભારે હુમલો આવતા કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેમની દીકરી પ્રાચીએ જણાવ્યું કે, આજે સવારે તેઓ અવસાન પામ્યા. છેલ્લા ત્રણ અઠવાડિયાથી તેઓ હોસ્પટલમાં હતા.
હોસ્પિટલ પ્રશાસનના જણાવ્યા મુજબ હાર્ટની તકલીફને કારણે નિતિન મનમોહનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત ગંભીર હોવાથી આઈસીયુમાં રાખવામાં આવ્યા બાદ વેન્ટિલેટર પર રખાયા હતા. જોકે આજે સવારે તેમણે દેહ ત્યજ્યો હતો.
નિર્માતાની તબિયતની જાણ થતાં તેમના પરિવારને મળવા અક્ષય ખન્ના પહોંચ્યો હતો. અક્ષયે નિતિન મનમોહનની બે ફિલ્મો દીવાનગી અને ગલી ગલી ચોર હૈમાં કામ કર્યું હતું.
નિતિન મનમોહને બોલ રાધા બોલ, લાડલા, યમલા પગલા દીવાના, આર્મી, શૂલ, લવ કે લિયે કુછ ભી કરેગા, ચલ મેરે ભાઈ, મહા સંગ્રામ, ઇન્સાફ, દીવાનગી, નઈ પડોશન, અધર્મ, સલમાન ખાન અભિનીત બાગી, ઈના મીના ડીકા, તથાસ્તુ, ટેંગો ચાર્લી, દિલ માંગે મોર અને સબ કુશલ મંગલનું નિર્માણ કર્યું હતું. તેમના ભાઈ હેમંત પંમિયા જાણીતા વિતરક છે અને પુણે રહે છે. નિતિન બ્રહ્મચારી, ગુમનામ, નયા ઝમાના જેવી અનેક ફિલ્મોમાં કામ કરી ચુકેલા વિલન મનમોહનના પુત્ર છે. તેમના પરિવારમાં તેમની પત્ની, દીકરી પ્રાચી અને દીકરો સોહમ છે.