ફિલ્મોના બહિષ્કારનો એરુ બૉલિવુડ ઉપરાંત અન્ય પ્રાદેશિક ફિલ્મો બાદ હવે ઢોલિવુડને પણ આભડ્યો છે. હરેશ પટેલ નિર્મિત અને સુરેશ જોષી દિગ્દર્શિત ફિલ્મ તખુભાની તલવારને પણ આભડ્યો છે. આજે (30-12-22) રિલીઝ થઈ રહેલી ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ કરણી સેનાએ વિરોધ શરૂ કર્યો હતો. રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ જે.પી. જાડેજાના જણાવ્યા મુજબ ફિલ્મને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ તે રીતે ફિલ્માવવામાં આવી છે.
ફિલ્મની રિલીઝ અંગે નિર્માતા હરેશ પટેલે ફિલ્મી ઍક્શનને ફોન પર જણાવ્યું હતું કે, આજે સવારે કરણી સેનાના ઉપાધ્યક્ષ જે.પી. જાડેજા અને કાર્યકર સેજપાલ સિંહ વચ્ચે થયેલી વાટાઘાટ બાદ ફિલ્મની રિલીઝ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.
ફિલ્મના અમુક સંવાદો સામે રાજપૂત સમાજે ભારે વિરોધ નોંધાવ્યો હતો. જોકે નિર્માતાઓએ રાજપૂત સમાજે જે સંવાદો સામે વાંધો ઉઠાવ્યો છે એ ફિલ્મમાંથી કાઢી નાખવાની તૈયારી બતાવી હોવા છતાં કરણી સેનાએ ફિલ્મ રિલીઝ ન કરવા દેવાની ચીમકી આપી છે.
ફિલ્મ અંગે કરણી સેનાના જે.પી. જાડેજાએ વધુમાં જણાવ્યું કે, અમને જાણવા મળ્યા મુજબ નિર્માતા હરેશભાઈ પટેલની ફિલ્મ તખુભાની તલવારમાં ક્ષત્રિય સમાજને નીચો દેખાડવામાં આવ્યો છે. ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવા દૃશ્યો અને સંવાદો ફિલ્માવવામાં આવ્યા છે.
જ્યારે ફિલ્મના નિર્માતાનું કહેવું છે કે, અમે તખુભાની તલવાર કોઈ સમાજને ટાર્ગેટ કરીને બનાવી નથી. અમારો હેતુ માત્ર દર્શકોને મનોરંજન આપવાનો છે. અને ફિલ્મમાં કોઈ વાંધાજનક દૃશ્ય કે સંવાદ ન હોવાથી બૉર્ડે સેન્સર સર્ટિફિકેટ પણ જારી કર્યુ છે. આમ છતાં રાજપૂત સમાજને જે સંવાદો સામે વાંધો છે એ અમે દૂર કરવાની પૂરી તૈયારી છે. એ સાથે હું વિનંતી કરીશ કે કોઈ પણ વ્યક્તિએ બંધ બેસતી પાઘડી પહેરવી જોઈએ નહીં.
અત્રે એક પ્રશ્ન ઊભો થાય છે કે જો ફિલ્મના દૃશ્ય કે સંવાદમાં કોઈ સમાજને વાંધાજનક લાગતું હોય તો ફિલ્મની રિલીઝ અટકાવવાને બદલે બંને પક્ષને માન્ય હોય એવો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો જોઇએ. ફિલ્મની રિલીઝ અટકાવવાને કારણે ફિલ્મના નિર્માતાને તો નુકસાન થાય છે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત લોકોના પરિવારોને પણ સીધી કે આડકતરી રીતે અસર પડતી હોય છે. એટલે ફિલ્મનો વિરોધ કરનારાઓએ પણ આક્રમક વલણ અપનાવવાને બદલે સમાધાનકારી રસ્તો અપનાવવો જોઇએ.