કોરોના વાઇરસને પગલે છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલા લૉકડાઉનને કારણે અન્ય ઉદ્યોગોની જેમ ટીવી ઇન્ડસ્ટ્રી પણ આર્થિક ભીંસમાં સપડાઈ છે. ટીવી સિરિયલોના શૂટિંગ બંધ હોવાથી નિર્માતાને ભારે ખોટ સહેવાનો વારો આવ્યો છે. તો સિરિયલમાં કામ કરતા કલાકાર-કસબીઓ તેમની સેલેરીની રાહ જોઈ રહ્યા છે. અનેક કલાકારોએ સોશિયલ મીડિયા પર તેમની વ્યથા કહો કે ફરિયાદ વ્યક્ત કરી ચુક્યા છે. આને પગલે સૂચના અને પ્રસારણ મંત્રાલય કડક પગલાં લઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
એક અગ્રણી અંગ્રેજી અખબારમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલની વાત સાચી માનીએ તો સૂચના અને પ્રસારણ મંત્રાલયે ટીવી શોના મેકર્સ અને નિર્માતાઓને આદેશ આપ્યો છે. આઈબી મંત્રાલયે આપેલા આદેશમાં શોની ટીમના બાકી નીકળતા પૈસા ચુકવવા જણાવ્યું છે. આદેશને પગલે મેકર્સ અને નિર્માતાઓએ 20 માર્ચ 2020 સુધીના કામની સેલેરી ચુકવવાની રહેશે.
સૂચના અને પ્રસારણ મંત્રાલયે આપેલા આદેશમાં જણાવ્યુ છે કે શો મેકર્સ અને નિર્માતાઓએ વહેલી તકે તેમની ટીમને સેલેરી ચુકવવાની રહેશે અન્યથા તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. કોરોના વાઇરસને કારણે તમામ ઇન્ડસ્ટ્રી નુકસાની ભોગવી રહી છે પણ દરેક સેક્ટરના કામદારોને તેમનો હક મળવો જોઇએ.
કોરોના વાઇરસને પગલે સર્જાયેલી પરિસ્થિતિને કારણે ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા કલાકાર અને ટીમના અન્ય સભ્ય અંતિમ પગલું ભરવાનું વિચારી રહ્યા હતા. તાજેતરમાં ન્યુઝ આવ્યા હતા કે હમારી બહુ સિલ્કના નિર્માતાએ લૉકડાઉન દરમ્યાન પૂરી ટીમને સેલેરી આપવાનું નકારી દીધું હતું. આને પગલે ક્રુના સભ્યોએ આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. આ સમાચાર બહાર આવતા સૂચના અને પ્રસારણ મંત્રાલયે નિર્માતાને આદેશ જારી કર્યો હતો.