અગાઉ સ્કૂલમાં સંસ્કૃત ભણાવવામાં આવતું. પરંતુ કાળક્રમે અંગ્રેજી માધ્યમનું ચલણ એટલું વધ્યું કે સંસ્કૃના સ્થાને ફ્રેન્ચ, જર્મની, ચાઇનીઝ, જપાનીઝ જેવી ભાષાઓની બોલબાલા વધવા લાગી. દેવોની ભાષા ગણાતી સંસ્કૃત આપણા માટે એક અઘરી ભાષા ગણાવા લાગી છે. આજે આપણા દેશમાં સંસ્કૃતની જેટલી અવગણના થઈ રહી છે એટલી જ એ વિદેશમાં આવકાર્ય બની રહી છે. ખેર, સંસ્કૃત ભાષાની અવગણના એ તો એક રાષ્ટ્રીય ચર્ચાનો વિષય છે. પરંતુ દેશમાં સંસ્કૃત ભાષાનું ચલણ ન હોવા છતાં અમુક નિર્માતાઓએ દેવની ભાષામાં ફિલ્મો બનાવવાનું સાહસ કર્યું છે. જોકે અફસોસની વાત એ છે કે સંસ્કૃતમાં બનેલી મોટાભાગની ફિલ્મો દક્ષિણ ભારતના સર્જકોએ જ બનાવી છે, એકાદા અપવાદને બાદ કરતા મધ્ય કે ઉત્તર ભારતના સર્જકોમાં દેવોની ભાષામાં ફિલ્મ બનાવવા અંગે હજુ ઉદાસીનતા જોવા મળી રહી છે. એટલું જ નહીં, અન્ય ભાષી ફિલ્મોની જેમ સંસ્કૃત ફિલ્મોની કોઈ અલગ ઇન્ડસ્ટ્રી પણ નથી.
હાલ ગોવામાં ચાલી રહેલા બાવનમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાના ઇન્ડિયન પૅનોરમામાં દર્શાવાનારી પચીસ ફિલ્મોમાં પણ યદુ વિજયકૃષ્નનની સંસ્કૃત ફિલ્મ ભગવદુજક્કમનો સમાવેશ કરવામાં આવ્યો છે. દેશમાં સંસ્કૃત ફિલ્મો ભાગ્યે જ બનતી હોવા છતાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાના ઇન્ડિયન પૅનોરમામાં સંસ્કૃત ફિલ્મનું નામ જોઈ આશ્ચર્યની સાથે આનંદની અનુભૂતિ પણ થઈ.
દેશમાં બોલાતી લગભગ તમામ ભાષામાં અનેક ફિલ્મો બની છે અને બની રહી છે. પણ તમને જાણીને નવાઇ લાગશે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી શરૂ થયાના સો વરસ દરમિયાન દેવોની ભાષા સંસ્કૃતમાં માત્ર આંગળીના વેઢે ગણાય એટલી જ ફીચર ફિલ્મો બની છે. એમાં પણ ૧૯૮૩ (સંવત ૨૦૪૦)માં બનેલી દેશની સર્વપ્રથમ સંસ્કૃત ફિલ્મનું નિર્માણ નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએફડીસી)એ કર્યું હતું. ફિલ્મનું નામ હતું આદિ શંકરાચાર્ય.
જી. વી. ઐયર દિગ્દર્શિત ફિલ્મને ૩૧માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં ચાર એવોર્ડ મળ્યા હતા. જેમાં બેસ્ટ ફિલ્મ, બેસ્ટ સ્ક્રીનપ્લે, બેસ્ટ સિનેમેટોગ્રાફી અને બેસ્ટ ઓડિયોગ્રાફીના એવોર્ડનો સમાવેશ થાય છે.
શંકરાચાર્ય બાદ સંસ્કૃતમાં દોઢ-બે ડઝન ફિલ્મો બની અને મોટાભાગની ફિલ્મને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં સન્માનિત કરવામાં આવી છે.
સંસ્કૃતમાં બનેલી બીજી ફિલ્મ પણ જી. વી. ઐયરે બનાવી હતી. ૧૯૯૨માં તેમણે ભગવત ગીતા નામની ફિલ્મ બનાવી જેને ૪૦માં નેશનલ ફિલ્મ એવોર્ડ શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ એનાયત થયો.
જોકે આ ફિલ્મ બાદ સંસ્કૃત ફિલ્મ માટે બાવીસ વરસ સુધી રાહ જોવી પડી. ૨૦૧૫થી ૨૦૧૭ના સમયગાળામાં ચાર સંસ્કૃત ફિલ્મો બની, જે તમામ કેરળમાં નિર્માણ થઇ હતી. કેરળમાં બનેલી પહેલી અને દેશની ત્રીજી સંસ્કૃત ફિલ્મ પ્રિયદર્શનમ સર્જક હતાં વિનોદ મંકરા. આ ફિલ્મને પણ શ્રેષ્ઠ સંસ્કૃત ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.
જાણીને નવાઈ લાગશે પણ સંસ્કૃતમાં બનેલી અનુરક્તિ પહેલી થ્રી ડી ફિલ્મ હતી અને એમાં ગીતો પણ હતાં.
જ્યારે સૌપ્રથમ કોમર્શિયલ સંસ્કૃત ફિલ્મનું બહુમાન પ્રતિકૃતિ ફાળે જાય છે. ફિલ્મના લેખક દિગ્દર્શક હતાં ડૉ. નિધિશ ગોપી. સંસ્કૃતમાં બનેલી વિશ્વની પહેલી ચિલ્ડ્રન ફિલ્મ હતી મધુરાસમિઠમ. ફિલ્મના દિગ્દર્શક હતા સુરેશગાયત્રી. તો ગયા વરસે ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાયેલી નમો ફિલ્મની વાર્તા કૃષ્ણ સુદામાની મિત્રતા પર આધારિત હતી.
સંસ્કૃત ફિલ્મોનું અવનવું
– આદિ શંકરાચાર્ય સંસ્કૃતમાં બનેલી પહેલી ફીચર ફિલ્મ.
– સ્વર્ગીય જી.વી. ઐય્યર સંસ્કૃત ફિલ્મના પહેલાં દિગ્દર્શક હતાં.
– અનુરક્તિ સંસ્કૃતમાં બનેલી પહેલી ગીતો સાથેની થ્રી ડી ફિલ્મ છે.
– પુણ્યકોટી સંસ્કૃતમાં બનેલી પહેલી એનિમેશન ફિલ્મ.
– પુત્રો રક્ષતિ પહેલી સંસ્કૃત શોર્ટ ફિલ્મ હોવાનું મનાય છે.
- પી. સી. કાપડિયા