લાઇગરની નિષ્ફળતાને કારણે ફિલ્મના સર્જકોને ભારે આઘાત લાગ્યો છે. ફિલ્મના હીરો વિજય દેવરકોંડાને પણ ફિલ્મ વિશે એટલા આશાવાદી હતી કે તેમણે બૉયકોટ કરનારાઓને પડકાર ફેંક્યો હતો. જોકે ફિલ્મ બૉક્સ ઑફિસ પર કરિશ્મા દાખવી શકી નહીં. એટલે વિજયે ફિલ્મ નિર્માતાને સહાયરૂપ બનવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
ઇન્ડસ્ટ્રીના ટ્રેડ એનાલિસ્ટના જણાવ્યા મુજબ લાઇગરનું બજેટ લગભગ સો કરોડ રૂપિયા જેટલું હતું. જોકે ફિલ્મ બૉક્સ ઑફિસ પર ખાસ ધંધો કરી શકી નહીં. આને પગલે વિજયે ફિલ્મના નિર્માતા ચાર્મી કૌર અને બીજા સહ નિર્માતાને સપોર્ટ કરવા છ કરોડ રૂપિયા પાછા આપવાનું નક્કી કર્યું છે.
હકીકતમાં વિજય દેવરકોંડાએ રિલીઝ પહેલા ફિલ્મ બૉયકોટ કરવાની હાકલ કરનારાઓને પડકાર ફેંકતા કહ્યું હતું કે ફિલ્મ જોવી હોય તો જુઓ નહીં તો કંઈ નહીં. આ અંગે નારાજી વ્યક્ત કરતા મરાઠા મંદિર અને જી-સેવન થિયેટરના ડિરેક્ટર મનોજ દેસાઈએ વિજય પર નારાજી વ્યક્ત કરતા એક ચૅનલને જણાવ્યું હતું કે, શું વિજયમાં એટલી ચરબી આવી ગઈ છે કે દર્શકોને પડકારે. તાપસી પન્નુ, આમિર ખાન, અક્ષય કુમારની હાલત જુઓ શું થઈ છે? થિયેટર છોડી હવે તમિલ-તેલુગુ ઓટીટીમાં કામ કરો. તમારી આવી ટિપ્પણીને કારણે જ લાઇગરને આટલું નુકસાન સહેવું પડ્યું.
લાઇગર બૉક્સ ઑફિસ પર નિષ્ફળ જતા વિજય દેવરકોંડાની આગામી ફિલ્મ પર પણ અસર પડી શકે છે. વિજય હાલ પુરી જગન્નાથની ફિલ્મ જન ગણ મન કરી રહ્યો છે. લાઇગરની નિષ્ફળતાને પગલે જન ગણ મનનું બજેટ ઘટાડ્યું છે. તો વિજય અને પુરી જગન્નાથે પણ તેમની સેલેરી ન લેવાનું નક્કી કર્યુ છે. જો જન ગણ મન હિટ થશે તો એના નફામાંથી વિજય દેવરકોંડાને અમુક ટકા હિસ્સો મળશે.