ગુજરાતના અનેક બહાદૂર યોદ્ધાઓની વાત કાળની સંદૂકમાં ઢબુરાઈ ગઈ છે. પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઇતિહાસની ગર્તામાં ધકેલાઈ ગયેલા આવા શૂરવીરોને લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહી છે. આવી જ એક ફિલ્મ નાયિકા દેવી 6 મે, 2022ના રિલીઝ થઈ રહી છે. ગુજરાતની મહારાણી નાયિકા દેવીની આણ છેક અફઘાનિસ્તાન સુધી વર્તાતી હતી. એટલું જ નહીં, નાયિકા દેવીએ મોહમ્મદ ઘોરીને સત્તા પરથી ઉથલાવી દીધો હતો.
આ ફિલ્મનું એક ગીત, શંભુ શંકરા તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું. પાર્થ ભરત ઠક્કરના સંગીતમાં તૈયાર થયેલાં ગીતને ગાયું છે કૈલાશ ખેરે. ગીતનું ફિલ્માંકન બૉલિવુડનાં કૉરિયોગ્રાફર સમીર-અર્શ તન્નાએ એટલી સુંદર રીતે કર્યુ છે કે ગીત વારંવાર જોવાનું મન થાય. નિર્માતા ઉમેશ શર્મા અને દિગ્દર્શક નિતિન જી.એ ફિલ્મને ભવ્ય બનાવવામાં કોઈ કસર છોડી નથી એવું આ ગીત અને ફિલ્મનું ટ્રેલર જોઈ લાગી રહ્યુ છે. ફિલ્મના મુખ્ય કલાકારો છે ખુશી શાહ, ચંકી પાંડે, મનોજ જોશી.