તાનાજી માલસુરેની ન જાણેલી વાતો અજય દેવગણ અભિનીત તાનાજી : ધ અનસંગ વૉરિયર ફિલ્મે લોકો સુધી પહોંચાડી છે. ફિલ્મની સફળતાથી એક વાત સ્પષ્ટ થાય છે કે દર્શકોમાં ઐતિહાસિક ફિલ્મો પ્રત્યેની રૂચિ જળવાઈ રહી છે. હવે ફિલ્મ માટે એક મોટા ન્યુઝ જાણવા મળ્યા છે. હરિયાણામાં ફિલ્મ ટેક્સ ફ્રી થયા બાદ હવે મહારાષ્ટ્રમાં પણ કરમુક્ત બની છે. મહારાષ્ટ્રમાં લાંબા અરસાથી ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની ચર્ચા ચાલી રહી હતી. જોકે ફિલ્મની રિલીઝના બે અઠવાડિયા બાદ લેવાયેલો ટેક્સ ફ્રી નિર્ણય મોડો જરૂર કહી શકાય.
બૉક્સ ઑફિસ કલેક્શન પર નજર નાખીએ તો ફિલ્મ 200 કરોડના આંકડાની નજીક પહોંચી ચુકી છે. બે અઠવાડિયા સુધી બૉક્સ ઑફિસ પર ધમાકેદાર કલેક્શન કર્યા બાદ નિર્માતાઓને લાગે છે કે 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનના અવસરના પગલે ફિલ્મ નવી ઊંચાઇઓ સર કરે એવી નિર્માતાઓ અપેક્ષા રાખી રહ્યા છે.
બૉક્સ ઑફિસના આંકડા જોઇએ તો તાનાજીએ એના 12મા દિવસે લગભગ 17 કરોડ રૂપિયાની કમાણી કરતા એની કુલ કમાણી 183.34 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે છપાકનું કલેક્શન માંડ 29.70 કરોડ રૂપિયા થયું છે.
અજય દેવગણ અને કાજોલ ફિલ્મની સફળતાથી ઘણા ખુશ છે. તો ફિલ્મમાં વિલન બનેલા સૈફ અલી ખાને ફિલ્મમાં ઐતિહાસિક તથ્યો સાથે ચેડાં કરવાનો આક્ષેપ કર્યો હતો. સૈફે કહ્યું કે એને આ ભૂમિકા સારી લાગી એટલે કરી, પણ ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરે.