સૈફ અલી ખાન આજકાલ એણે આપેલા બયાનને કારણે ટ્રોલ થઈ રહ્યો છે. એણે કહ્યું હતું કે, તાનાજી : ધ અનસંગ વૉરિયરમાં ઇતિહાસ સાથે ચેડાં થયા એ ખતરનાક છે. એ સાથે સૈફે એમ પણ કહ્યું કે મારૂં માનવું છે કે ભારતને અધિકૃતતા અંગ્રેજોએ આપી અને જે અગાઉ નહોતી. ભારતના અસ્તિત્વ પર જ સવાલ ઉઠાવનારા બયાનને કારણે સૈફ ટ્રોલ થઈ રહ્યો છે.
સૈફના બયાન પર ટ્વીટ કરતા ભાજપનાં નેતા મીનાક્ષી લેખીએ લખ્યું કે, તુર્કો પણ તૈમુરને ક્રૂર માનતા હતા, પરંતુ અમુક લોકો પોતાના બાળકનું નામ જ તૈમુર રાખે છે. આમેય સૈફ અને કરીનાના પુત્રનું નામ તૈમુર રાખ્યું ત્યારે ભારે વિવાદ થયો હતો. તૈમુર તુર્ક શાસક હતો અને એણે 14મી સદીમાં દિલ્હી અને કાશ્મીરમાં ભારે લૂટફાટ કરી હતી. તૈમુર લૂટ અને કત્લેઆમ માટે કુખ્યાત હતો.
મીનાક્ષી લેખીની સાથે તારિક ફતેહે પણ સૈફને આડે હાથ લીધો હતો. મીડિયામાં આવેલા અહેવાલ મુજબ તારિકે જણાવ્યું કે, અંગ્રેજો આવ્યા ત્યાં સુધી ભારત અધિકૃતતા નહોતી તો ઈસ્ટ ઇન્ડિયા કંપની શું ચીન માટે હતી. વાસ્કો ડી ગામા ભારત નહીં તો ફિજી ગયો હતો કે?
સૈફના બયાન પર બૉલિવુડની ક્વીન કંગના રનૌતે કહ્યું કે, કોઈ ભારત નહોતું તો મહાભારત શું હતું? પાંચ હજાર વરસ પહેલાં શું લખાયું હતું ? વેદ વ્યાસ કોણ હતા?