બૉલિવુડના વિખ્યાત ગીતકાર 80 વર્ષનાં માયા ગોવિંદનું આજે નિધન થયું છે. છેલ્લા બે મહિનામાં તેમને બ્રેઇન બ્લડ ક્લૉટિંગને કારણે મુંબઈના જુહુ સ્થિત આરોગ્ય નિધિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જોકે તબિયતમાં કોઈ સુધારો થતો ન હોવાથી ઘરે જ તેમની સારવાર ચાલી રહી હતી.
1940માં ઉત્તર પ્રદેશના લખનઊ શહેરમાં જન્મેલાં માયા ગોવિંદે 1972માં ગીતકાર તરીકેની કરિયરની શરૂઆત કરી હતી. આરોપ, જલતે બદન, સાવન કો આને દો, બે કાબુ, સૌતેલા, રઝિયા સુલ્તાન, બાલ બ્રહ્મચારી, મૈં ખિલાડી તૂં અનાડી, ઈમાનદાર, તોહફા, યારાના, હમ તુમ્હારે હૈ સનમ જેવી 350થી વધુ ફિલ્મોમાં ગીતો લખ્યાં હતાં.
ગીતકારને ગીત બનાવવાની પ્રેરણા કેવી રીતે મળતી હોય છે એની વાત કરતા માયા ગોવિંદે રેડિયોના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, તેમને આરોપ ફિલ્મ માટે એક ગીત લખવાનું હતું. સંગીતકાર ભૂપેન હઝારિકાએ મને ગીતલખવા પૂરતો સમય આપ્યો હતો. પરંતુ જે દિવસે ગીત આપવાનું હતું ત્યાં સુધી મને કોઈ મુખડું મળતું નહોતું. હું ટેન્શનમાં હતી. એમાં બેન્કનું એક મહત્ત્વનું કામ પતાવવાનું હતું એટલે પતિ સાથે રિક્ષામાં બેન્ક જવા નીકળી. રસ્તામાં ગીતના મુખડાના જ વિચારો ચાલી રહ્યા હતા. એવામાં મારી નજર રિક્ષાના બેક વ્યુ મિરર પર પડી જેમાં મારા પતિનો ચહેરો દેખાતો હતો. અને મને મારાં ગીતનું મુખડું મળી ગયું. મેં તરત ડાયરીમાં લખ્યું… નૈનોં મેં દર્પન હૈ, દર્પન મેં હૈ કોઈ, દેખું જીસે મૈં સુબહ શામ… લતા મંગેશકર અને કિશોર કુમારે ગાયેલું એ ગીત સુપરડુપર હિટ થયું હતું.
ગીતકાર અને કવિયત્રી માયા ગોવિંદનાં અંતિમ સંસ્કાર આજે બપોરે ત્રણ વાગ્યે વિલે પાર્લે સ્થિત પવન હંસ ખાતે કરવામાં આવશે.