દેશ-દુનિયામાં અનેક ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન થતું રહે છે પણ તાજેતરમાં મુંબઈ ખાતે યોજાઈ ગયેલા મૂનવાઇટ ફિલ્મ્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટ બીજા વરસે જ વિશ્વભરના સર્જકોમાં જાણીતો બન્યો છે. જાણીતા ગાયક-સંગીતકાર-નિર્માતા દેવાશીષ સરગમ (રાજ) દ્વારા સ્થાપિત ફેસ્ટિવલની બીજી સીઝનનું ઉદઘાટન ૧૫ નવેમ્બરે મેટ્રો આઇનોક્સ ખાતે ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને બિહારના ભૂતપૂર્વ ગવર્નર ડી. વાય. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભજન સમ્રાટ અનુપ જલોટા, ગાયિકા જસપિન્દર નરૂલા પણ ઉપિસ્થત રહ્યાં હતાં.
મૂનવાઇટ ફિલ્મ્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટ-૨૦૧૯ના જ્યુરી તરીકે પદ્મશ્રી અનુપ જલોટા, બ્રાઇટના યોગેશ લાખાણી, આરજે રાહત જાફરી, ફિલ્મ સર્જક સાવનકુમાર ટાંક, પંડિત સુવાશિત રાજ સહિત અનેક હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. ફિલ્મ ફેસ્ટ મેટ્રો આઇનોક્સ સ્ક્રીનિંગ પાર્ટનર હતું તો બ્રાઇટ આઉટડાર મીડિયા પાર્ટનર હતું.
મૂનવાઇટ ફિલ્મ ફેસ્ટમાં બે ડઝનથી વધુ ફિલ્મો દર્શાવવામાં આવી હતી જેમાં ફીચર, શોર્ટ ફિલ્મ અને ડૉક્યુમેન્ટ્રીનો સમાવેશ કરાયો હતો.
આ અવસરે અનુપ જલોટાએ જણાવ્યું કે, ગયા વરસે પણ અમે ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું અને પહેલાં જ પ્રયાસમાં જબ્બર પ્રતિસાદ મળ્યો હતો. ફેસ્ટિવલમાં અનેક નવા અને પ્રતિભાશાળી સર્જકોની સાથે કલાકારોને તેમની પ્રતિભા દર્શાવવાનો મોકો મળે છે. આ પ્રકારના ફેસ્ટિવલમાં અનેક દર્શકો ફિલ્મ જોવા આવે છે અને ઍવોર્ડ પણ એનાયત થતા હોવાથી ફિલ્મની માર્કેટ વેલ્યુ પણ વધે છે.