પહેલા એપિસોડથી જ સિરિયલ ચર્ચામાં આવે એ માટે શોના નિર્માતાની સાથે ચૅનલ પણ અવનવી તરકીબ કરતા હોય છે. સ્ટાર પ્લસ પર સોમવારથી શરૂ થયેલી સિરિયલ એક ભ્રમ સર્વગુણ સંપન્નનું લૉન્ચિંગ છેક ઉદેપુરમાં રાખવામાં આવ્યું હતું. એવું નથી કે મુંબઈ બહાર પહેલીવાર કોઈ સિરિયલ લૉન્ચ કરાઈ હોય. પણ સાસ-બહુનું કથાનક ધરાવતા શો માટે ઉદેપુરમાં આવેલું એક હજાર વરસ જૂના સાસ-બહુ મંદિર જેવું બેસ્ટ વેન્યું ક્યું હોઇ શકે? અહીં પારંપારિક રીતે શોની હીરોઇન જાહ્નવી મિત્તલ ઉર્ફે શ્રેણુ પરીખે શો લૉન્ચ કર્યો હતો.
શોના નિર્માતાનું કહેવું છે કે, મંદિરમાં શો લૉન્ચ કરવાનું મુખ્ય કારણ એટલું જ કે ભારતનું આ એક માત્ર મંદિર છે જે સાસુ-વહુના સંબંધના મહત્ત્વને દર્શાવે છે. મંદિર દસમી સદીમાં કચ્છવાહા વંશના રાજાએ બંધાવ્યું હતું.
સાસ-બહુની સિરિયલ હવે દર્શકોની રોજિંદી જિંદગીનો હિસ્સો બની ગઈ છે. પરંતુ શોના અનોખા લૉન્ચિંગને કારણે બધાનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહી છે. જોકે આ અસામાન્ય લૉન્ચિંગનુ શ્રેય એની પૂરી ટીમને જાય છે.
શોમાં જાન્હવી એક એવી ખલનાયિકા વહુનું પાત્ર ભજવી રહી છે જે પારંપારિક વધુ કરતા એકદમ વિરૂદ્ધ સ્વભાવ ધરાવે છે. આ શોની વાર્તા એક હાઇ પ્રોફાઇલ ફૅમિલીની રિયલ સ્ટોરી પર આધારિત હોવાને કારણે નિર્માતા શોની સ્ટોરી અંગે ભારે ગુપ્તતા જાળવી રહ્યા છે. કારણ, પ્રતિષ્ઠિત પરિવાર નથી ઇચ્છતું કે આ વિવાદાસ્પદ સ્ટોરી ક્યા પરિવારની છે એની જાણકારી લોકો સુધી પહોંચે.
સ્ટાર પ્લસ પર 22 એપ્રિલથી શરૂ થયેલી અને સોમવારથી શુક્રવારે સાંજે 7 વાગ્યે પ્રસારિત થઈ રહેલી સિરિયલ એક ભ્રમ – સર્વગુણ સંપન્નના દિગ્દર્શક છે સુમિત સોડાની. સની સાઇડ અપ ફિલ્મ્સ દ્વારા નિર્મિત સિરિયલના મુખ્ય કલાકાર છે શ્રેણુ પરીખ અને જૈન ઇમામ.