મંગળવારે ફિલ્મનું ટીઝર રિલીઝ કરવાની સાથે નિર્માતાએ જાહેર કર્યું હતુ કે બુધવારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરાશે. જાહેર કર્યા મુજબ પંકજ ત્રિપાઠી અભિનીત ફિલ્મ મૈં અટલ હૂંનું ટ્રેલર બુધવરે રિલીઝ કરવામાં આવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભારતના પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની જીવની સાથે તેમના રાજકીય સંઘર્ષને બખૂબી દર્શાવવામાં આવ્યું છે. અટલ બિહારી વાજપેયી કેવી રીતે દેશના લોકપ્રિ નેતા બન્યા એની એક ઝલક 3 મિનિટ 37 સેકન્ડના ટ્રેલરમાં જોવા મળે છે. ટ્રેલર જોઈ એવું લાગે છે કે પંકજ ત્રિપાઠીમાં જાણે અટલજીએ પરકાયા પ્રવેશ કર્યો હોય. એમાંય પંકજનો એક સંવાદ દલો કે દલદલ મેં કમલ કો ખીલાના હૈ દર્શકોની દાદ મેળવી જાય છે.
બુધવારે પંકજ ત્રિપાઠી, ફિલ્મના દિગ્દર્શક રવિ જાધવ, નિર્માતા વિનોદ ભાનુશાલી અને નિર્માતા સંદીપ સિંહ સહિત ફિલ્મના અન્ય કલાકાર-કસબીઓની ઉપસ્થિતિમાં ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું. ફિલ્મ 19 જાન્યુઆરી, 2024ના દેશભરમાં રિલીઝ કરવામાં આવશે.
ટ્રેલર લૉન્ચ દરમિયાન પંકજ ત્રિપાઠીએ જણાવ્યું કે તેમના માટે અટલજીની ભૂમિકા ભજવવી આસાન નહોતી. કારણ, તેઓ અટલજીનું પાત્ર ભજવતી વખતે મિમિક્રી કરવા માગતા નહોતા અને તેમના વ્યક્તિત્વની નકલ પણ કરવા માગતા નહોતા. મારે તેમના ભાવનાત્મક સ્વરૂપને રજૂ કરવી હતી. ફિલ્મની મને ઑફર કરવામાં આવી ત્યારે હું થોડો અવઢવમાં હતો. પણ નિર્માતા સંદીપ સિંહે આઈપેડમાં વીફએક્સ દ્વારા તૈયાર કરાયેલો એક ફોટો બતાવ્યો જેમાં હું અટલજી જેવો દેખાઈ રહ્યો હતો.
પંકજે વધુમાં જણાવ્યું કે મારો ફોટો જોઈ હું ચોંકી ઉઠ્યો એ સાથે મજાકમાં જણાવ્યું કે નિર્માતાએ જેવો મને ચેક આપ્યો કે મેં ફિલ્મના શૂટિંગની તૈયારી શરૂ કરી દીધી. અટલજીની ભૂમિકા ભજવવા માટે તેમના વિશેનું તમામ સાહિત્ય અને કવિતાઓ વાચી. એ સાથે તેમના ભાષણોના જેટલા વિડિયો મળ્યા એ પણ જોયા. ફિલ્મ મળી એ અગાઉ પણ અટલજી વિશે ઘણું વાચ્યું હતું પણ અટલજીના પાત્રને આત્મસાત કરવા જેટલી સામગ્રી મળી એ વાચી-જોઈ જેથી તેમના વ્યક્તિત્વ અને જીવનને બખૂબી સમજી શકે.
બે કલાક દસ મિનિટની ફિલ્મમાં અટલજીના પાત્રને સુચારૂ રૂપે પ્રસ્તુત કરવાનો સંનિષ્ઠ પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કે ફિલ્મમાં દરેક બાબત દર્શાવવી શક્ય નહોતી. એ સાથે અભિનેતાએ એક મજેદાર વાત કહી કે, તેમના જીવનમાં અટલ બિહારી વાજપેયી એક માત્ર નેતા છે જેમના ભાષણ સાંભળવા બે વાર પટનાના ગાંધી મેદાનમાં ગયો હતો. અભિનેતાને જ્યારે પૂછવામાં આવ્યું કે તમને રાજકારણના મેદાનમાં ઉતરવામાં રસ છે? ત્યારે પંકજે જણાવ્યું કે હું બિહારી છું, અને દરેક બિહારી રાજકારણ રમતો હોય છે. પણ અત્યારે એવો કોઈ વિચાર નથી કારણ મારી અભિનયની દુકાન સારી ચાલી રહી છે.
ફિલ્મના નિર્માતા વિનોદ ભાનુશાળીએ જણાવ્યું કે, જો તમે અટલ બિહારી વાજપેયી પર ફિલ્મ બનાવતા હોઇએ તો એમાં તેમણે શું કર્યું એ તો દર્શાવવામાં આવશે જ. તેમણે ભારતીય જનતા પક્ષની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી એ વાત તો ફિલ્મમાં આવશે જ. ફિલ્મમાં તેમના બાળપણથી વડા પ્રધાન બનવા સુધીની વાતો વણી લેવામાં આવી છે. એટલે એમ કહેવું ઉચિત નહીં ગણાય કે કોઈ ખાસ એજેન્ડાને ધ્યાનમાં રાખી ફિલ્મ બનાવવામાં આવી છે.
ટ્રેલર લૉન્ચનો વિડિયો જોવા નીચેની લિન્ક પર ક્લિક કરો