યારિયાં ફિલ્મ ફૅમ અભિનેતા દેવ શર્મા અને સ્ટાર પ્લસની સિરિયલ વિદ્રોહીથી લાઇમ લાઇટમાં આવેલી અભિનેત્રી સ્મૃતિ કશ્યપે તેમની આગામી ફિલ્મ આ ભી જા ઓ પિયાના પોસ્ટરના લૉન્ચિંગની સાથે વૃક્ષ બચાવો અભિયાનની શરૂઆત કરી હતી. ગણેશ ચતુર્થીના શુભ અવસરે અંધેરી ચા રાજાના મંડપમાં આયોજિત કાર્યક્રમમાં નિર્માતા બિનય મહેતા, કે. સેરા સેરાના ક્લાઇડ અને દિગ્દર્શક રાજેશ હરિવંશ મિશ્રા પણ ઉપસ્થિત રહ્યા હતા.
અંધેરી ચા રાજાના આશીર્વાદ લીધા બાદ ફિલ્મના કલાકાર-કસબીઓએ સેવ ધ ટ્રી કેમ્પેન અંતર્ગત તમામને એક છોડ ભેટમાં આપ્યો હતો.
આ ભી જા ઓ પિયા ફિલ્મ 7 ઓક્ટોબર, 2022ના રિલીઝ થઈ રહી છે. આ પ્રસંગે નિર્માતા બિનય મહેતાએ કહ્યું કે, અમને આનંદ એ વાતનો છે કે અંધેરી ચા રાજાના આશીર્વાદ સાથે ફિલ્મના પ્રમોશનની શરૂઆત કરી છે. ફિલ્મની વાર્તા હૃદયસ્પર્શી છે.
અભિનેતા દેવ શર્માએ જણાવ્યું કે, અંધેરી ચા રાજા પાસે જે માનતા માનવામાં આવે છે એ પૂરી થતી હોવાનું કહેવાય છે. અમારા માટે આનંદની સાથે સૌભાગ્યની વાત છે કે અહીં અમારી ફિલ્મનું પોસ્ટર લૉન્ચ કરવામાં આવ્યું. ફિલ્મમાં મનોરંજનનો તમામ મસાલો છે પણ એની સાથે એક મહત્ત્વનો સંદેશ એ આપવાનો પ્રયાસ કરાયો છે. ફિલ્મ વૃક્ષ બચાવોનો સંદેશ આપે છે.
તમિલ સિરિયલ રોઝા ફૅમ અભિનેત્રી સ્મૃતિ કશ્યપ પણ બૉલિવુડમાં એન્ટ્રી કરી રહી છે. સ્મૃતિએ કહ્યું કે, આ ભી જા ઓ પિયા એક મ્યુઝિકલ લવ સ્ટોરી છે જેમાં પર્યાવરણ બચાવવા માટે વૃક્ષના જતનની પણ વાત કરવામાં આવી છે.