1990માં આવેલી મહેશ ભટ્ટની રાહુલ રૉય અને અનુ અગરવાલ અભિનીત ફિલ્મ આશિકીએ બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવી હતી. એનાં ગીતો આજે પણ એટલા જ લોકપ્રિય છે. તો 2013માં શ્રદ્ધા કપૂર અને આદિત્ય રૉય કપૂરની મુખ્ય ભૂમિકાવાળી અને મોહિત સૂરી દિગ્દર્શિત આશિકી-2 પણ બ્લૉક બસ્ટર પુરવાર થઈ હતી. હવે ટી-સિરીઝના ભૂષણ કુમાર, અનુરાગ બસુ આશિકીનો ત્રીજો પાર્ટ બનાવી રહ્યા છે.
હકીકતમાં સોમવારે સવારે કાર્તિક આર્યને એના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જાણકારી આપી હતી કે એ ટૂંક સમયમાં આશિકી-3નું કામ શરૂ કરશે. આ ફિલ્મનું દિગ્દર્શન અનુરાગ બસુ કરી રહ્યા છે. કાર્તિકે એના ચાહકોને ખુશખબરી આપતા લખ્યું, અબ તેરે બિન જી લેંગે હમ, ઝહર જિંદગી કા પી લેંગે હમ.
કાર્તિક આર્યને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ટાઇમલેસ ક્લાસિક આશિકી એક એવી ફિલ્મ છે, જે જોઇને હું મોટો થયો છું અને આશિકી-3માં કામ કરવું એ જાણે કોઈ સપનું સાકાર થતું હોય એવું લાગે છે. મને મોકો આપવા માટે ભૂષણ કુમાર અને મુકેશ ભટ્ટનો આભારી છું. આવા દિગ્ગજ સર્જકો સાથે કોલાબ્રેટ કરવા માટે હું મારી જાતને નસીબદાર માનું છું. હું અનુરાગ બસુના કામનો ઘણે પ્રશંસક રહ્યો છું અને હવે તેમની સાથે કામ કરતી વખતે મને ઘણું શીખવા મળશે.
આશિકી-3નું નિર્માણ ભૂષણ કુમારની ટી સિરીઝ અને વિશેષ ફિલ્મ્સના નિર્માતા મુકેશ ભટ્ટ કરી રહ્યા છે. જોકે ફિલ્મની હીરોઇનનું નામ હજુ જાહેર કરાયું નથી. ફિલ્મના સંગીતની જવાબદારી સંગીતકાર પ્રીતમને સોંપાઈ છે.
ભૂલ ભૂલૈયા-2 હિટ થયા બાદ કાર્તિક આર્યનની ભારે ડિમાન્ડ છે. હાલ કાર્તિક પાસે અનેક ફિલ્મો છે જેમાં શહઝાદા, ફ્રેડી અને સત્ય પ્રેમ કી કથા મુખ્ય છે.