ગુજરાત રાજ્ય સંગીત અકાદમીના અધ્યક્ષ પદેથી પંકજ ભટ્ટે રાજીનામુ આપ્યું. બાદ કલા જગતના અને નામોની ચર્ચા નવા અધ્ય માટે થઈ રહી છે. પરંતુ અધ્યક્ષ પદની રેસમાં ગુજરાતી-હિન્દી ફિલ્મ-ટીવી-નાટ્ય જગતના વિખ્યાત અભિનેતા-દિગ્દર્શક ફિરોઝ ઇરાનીનું નામ સૌથી આગળ હોવાનું જાણવા મળ્યું છે. સ્વાભાવિક છે કે ગુજરાતી કલા જગતના સૌથી અનુભવી કલાકાર હોવાને કારણે જો તેમની નિમણુંક અધ્યક્ષ પદે થાય તો તમામ ક્ષેત્રના કલાકારો માટે સૌથી વધુ આનંદના સમાચાર ગણાશે.
ફિરોઝ ઇરાનીએ આઠ વરસની ઉંમરે પહેલીવાર અભનય ક્ષેત્રે જંપલાવ્યું. 1957માં આવેલા નાટક ચોરુ કે ચોરુ નાટકમાં કામ કર્યા બાદ તેમણે કદી પાછા વળીને જોયું નથી. સાંઇઠથી વધુ વરસની કારકિર્દી દરમિયાન તેમણે 560થી વધુ ગુજરાતી ફિલ્મો, 104 હિન્દી ફિલ્મો ઉપરાંત અનેક હિન્દી-ગુજરાતી સિરિયલોમાં તેમની અભિનય પ્રતિભા દર્શાવી છે. અને એનું પ્રમાણ છે ગુજરાત રાજ્ય તરફથી મળેલા 14 અવૉર્ડ્ઝ. ઉપરાંત હિન્દી અને ગુજરાતી ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું છે. તેમણે 2006માં આવેલા નાટક ચાલબાજમાં પરેશ રાવલ સાથે અભિનય કર્યો હતો. માત્ર ફિરોઝ ઇરાની જ નહીં, સમગ્ર ઇરાની પરિવાર… અરૂણા ઇરાની, ઇન્દ્ર કુમાર, અદી ઇરાની, બલ્લુ ઇરાનીથી લઈ નવી પેઢીનો અક્ષત ઇરાની પણ કલાજગત સાથે સંકળાયેલો છે.
આમ જોવા જઇએ તો ફિરોઝ ઇરાની ગુજરાતી સંગીત નાટ્ય અકાદમીના અધ્યક્ષ પદ માટે સૌથી લાયક ઉમેદવાર કહી શકાય. કારણ, તેમના જેટલો અનુભવી કલાકાર જ સમજી અને વિચારી શકે છે કે કલાજગતનો વિકાસ કેવી રીતે થઈ શકે અને એ માટે શું કરવું જોઇએ. ઉપરાંત મુંબઈમાં પણ અનેક સંપર્ક હોવાને કારણે એનો લાભ ગુજરાતના કલાજગતને પણ મળી શકે છે.
ફિરોઝ ઇરાનીનું મૂળ ભલે મુંબઈ હોય પણ તેમનો મોટા ભાગનો સમય તેમની કર્મભૂમિ ગુજરાતમાં વીતતો હોવાથી તેમણે અમદાવાદમાં પણ ઘર લીધું છે.