જાણીતા અભિનેતા, મૉડેલ અને કાસ્ટિંગ ડિરેક્ટર આદિત્ય સિંહ રાજપુતનું રહસ્યમય સંજોગોમાં અવસાન થયું છે. સોમવારે બપોરે એમના અંધેરી સ્થિત ઘરના બાથરૂમમાં મૃત અવસ્થામાં મળી આવ્યા. આદિત્યના મિત્રને બિલ્ડિંગના અગિયારમા માળે આવેલા ફ્લૅટમાં મૃત અવસ્થામાં મળી આવ્યા બાદ બિલ્ડિંગના વૉચમેનની સહાયથી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડૉક્ટરે આદિત્યને મૃત હોવાનું ઘોષિત કર્યું હતું. સૂત્રના જણાવ્યા મુજબ મૃત્યુનું કારણ ડ્રગ્ઝનો ઓવરડૉઝ પણ હોઈ શકે છે.
આદિત્ય સિંહ રાજપુતના ઇન્ડસ્ટ્રીમાં અનેક લોકો સાથે કનેક્શન હતા. આદિત્યએ એની કરિયરની શરૂઆત મૉડલ તરીકે કરી હતી. એ સાથે અમુક ફિલ્મો અને સિરિયલમાં કામ કર્યા બાદ પોતાની બ્રાન્ડ પૉપ કલ્ચર શરૂ કરી. બ્રાન્ડ હેઠળ તેઓ કાસ્ટિંગ ડિરેક્ટરનું કામ કરતા હતા. તેમણે અનેક અભિનેતા-અભિનેત્રીઓને ઇન્ડસ્ટ્રીમાં લૉન્ચ કર્યાં હતાં.
મૂળ દિલ્હીના આદિત્ય સિંહ રાજપુતે 17 વર્ષની ઉંમરે કરિયરની શરૂઆત કરી હતી. મૉડેલિંગમાં ખાસ સ્થાન જમાવ્યું હતું અને તેણે લગભગ 300 જેટલી જાહેરખબરમાં કામ કર્યું હતું. ઉપરાંત ક્રાંતિવીર અને મૈંને ગાંધી કો નહીં મારા જેવી ફિલ્મો પણ કરી હતી. ઉપરાંત ગંદી બાત વેબ સિરીઝમાં પણ કામ કર્યું હતું.