આ એક એવી વાર્તા છે જે વિશ્વભરના દર્શકોને પસંદ પડશે
સંજય લીલા ભણશાલીની આલિયા ભટ્ટ અને અજય દેવગણ અભિનીત ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડી ફેબ્રુઆરીમાં યોજાનારા ૭૨માં બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદ કરવામાં આવી છે અને એનો વર્લ્ડ પ્રીમિયર પણ યોજાશે. ફિલ્મ ફેસ્ટિવલના ખાસ વિભાગ માટે ફિલ્મની પસંદગી કરવામાં આવી છે. આ વિભાગમાં એવી ફિલ્મો દર્શાવવામાં આવશે જે મહામારી કાળમાં શૂટ કરવામાં આવી હોય. સંજય લીલા ભણશાલીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પચીસ વરસ પૂરા કર્યા છે. જ્યારે ગંગુબાઈ કાઠિયાવાડી તેમની દસમી ફિલ્મ હોવાથી તેમને માટે આ ખાસ અવસર છે.
સંજય લીલા ભણશાલીનું કહેવું છે કે, ગંગુબાઈ કાઠિયાવાડીની વાર્તા મારા માટે ઘણી અહમ્ છે અને મારા આ સપનાને સાકાર કરવા મેં અને મારી ટીમે કોઈ કસર છોડી નથી. પ્રતિષ્ઠત બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં અમારી ફિલ્મ રજૂ થઈ રહી હોવાથી અમે ગર્વ અનુભવી રહ્યા છીએ.
પેન સ્ટુડિયોના નિર્માતા જયંતીલાલ ગડાએ ફિલ્મની પસંદગી થવા બદલ જણાવ્યું કે, હું ભણશાલીની ક્ષમતા પર પૂરો વિશ્વાસ છે. એ જાણીને અનહદ આનંદ થયો કે અમારી ફિલ્મ બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં જઈ રહી છે. મને ભણશાલી સાથે જોડાવાનો આનંદ છે. આલિયા ભટ્ટે પણ જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું છે. એ સાથે અજય દેવગણનો પણ આભાર માનું છું. આ એક એવી વાર્તા છે જે વિશ્વભરના દર્શકોને પસંદ પડશે.
બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના આર્ટ ડિરેક્ટર કાર્લો ચટ્રીયન કહે છે કે, ગંગુબાઇ કાઠીયાવાડીનો પ્રીમિયર યોજવાનો અમને આનંદ છે. બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય ફિલ્મોને ખાસ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. વિશ્વભરના દર્શકોના દિલને સ્પર્શી જાય એવો ફિલ્મનો વિષય છે. એક અસાધારણ મહિલાને અસાધારણ પરિસ્થિતિમાં ધકેલવામાં આવી.
સંજય લીલા ભણસાલી અને ડૉ. જયંતીલાલ ગડા (પેન સ્ટુડિયો) દ્વારા નિર્મિત ફિલ્મ ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રિલીઝ થઈ રહી છે.