બૉલિવુડના અજરામર ગાયક પદ્મશ્રી મોહમ્મદ રફીની જીવની પર આધારિત દાસ્તાન-એ-રફીને અત્યાર સુધીમાં 1.4 મિલિયન વ્યુઝ મળ્યા છે. મોહમ્મદ રફીની લાઇફોગ્રાફીને મળેલી ભવ્ય સફળતાને પગલે ફિલ્મના સર્જકો દ્વારા ભવ્ય ગેટ-ટુ-ગેધરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લાઇફોગ્રાફર રજની આચાર્યએ જણાવ્યું કે, મોહમ્મદ રફીની લાઇફોગ્રાફીને દેશ-વિદેશના 25થી વધુ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી હતી જેમાંથી પંદરથી વધુ પુરસ્કાર અને સર્ટિફિકેટ મળ્યા છે. 24 ડિસેમ્બર, 2018માં ફિલ્મ એક જ દિવસમાં ત્રણ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી. જેમાં ઝી ક્લાસિક, તાતા સ્કાય અને એરટેલ ડીટીએચનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, સો કરતા વધુ ખાનગી સ્ક્રિનિંગ દરમિયાન હજારો રફી ચાહકોએ ફિલ્મને માણી છે.
રજની આચાર્યએ હૈદરાબાદ ખાતે થયેલા સ્ક્રિનિંગનો રોચક કિસ્સો પણ જણાવ્યો હતો. હકીકતમાં ભારતીય સેનાના જવાનો માટે આયોજિત શોમાં પાંચ હજારથી વધુ સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા. ફિલ્મમાં જ્યારે પણ રફીસાબનાં ગીતો વાગવાનું શરૂ થતું કે જવાનો પણ ગીત ગાવાની સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
શમશાદ બેગમ
ફિલ્મ નિર્માણ વિશે જણાવતા રજની આચાર્યએ જણાવ્યું કે, રફીસાબના જીવન સાથે સંકળાયેલી વિવિધ ઘટનાઓ અને સ્થળો દર્શાવતી ફિલ્મને તૈયાર કરતા ચાર વરસનો સમયગાળો લાગ્યો હતો. ફિલ્મનું શૂટિંગ મુંબઈ, પંજાબ, દિલ્હી, ગુજરાતમાં જ નહીં, પાકિસ્તાનના પણ અનેક સ્થળો પર કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં રફીસાબનું જન્મસ્થળ, ઘર, તેમની સ્કૂલ વગેરે પણ દર્શાવવામાં આવ્યા છે.
શમ્મી કપૂર
મોહમ્મદ રફીએ જેમના સંગીતમાં ગાયું હતું એવા ખય્યામ, પ્યારેલાલ, રવિ, ઉત્તમ સિંહ, રવિન્દ્ર જૈન જેવા સંગીતકારો, તેમના સહગાયકો મુબારક બેગમ, શમશાદ બેગમ, સુદેશ ભોસલે, અનુરાધા પૌડવાલ ઉપરાંત રફીનાં ગીતો જેમના પર ફિલ્માવાયા હતા એવા કલાકાર શમ્મી કપૂર, રિશી કપૂર, જિતન્દ્રએ પણ રફી સાથેના તેમના અનુભવો જણાવ્યા હતા. એટલું જ નહીં, ફિલ્મમાં રફીના 60 જેટલ સદાબહાર ગીતો પણ સામેલ કરાયા છે. મજાની વાત એ છે કે શમશાદ બેગમે વીસ વરસના ગાળા બાદ દાસ્તાન-એ-રફી માટે કેમેરાનો સામનો કર્યો હતો.
મુબારક બેગમ
રિશી કપૂર
લગભગ દોઢેક મિલિયન જેટલા રફીના ચાહકોએ ફિલ્મ જોયા બાદ હવે દાસ્તાન-એ-રફી ઝી ક્લાસિક, ઝી5, જિયો, શેમારૂ ફિલ્મી ગાને યુટ્યુબ ચૅનલ, શેમારૂમી ઓટીટી અને તાતા પ્લે પર ઉપલબ્ધ છે. ફિલ્મ કેનેડા, અમેરિકા અને યુકેના વિવિધ આઈપીટીવી પ્લેટફોર્મ પર પણ જોઈ શકાય છે.
તક્ષશીલા મલ્ટીમીડિયા પ્રોડક્શન બેનર હેઠળ બનેલી ફિલ્મનું દિગ્દર્શન રજની આચાર્ય અને વિનય પટેલનું છે.
રજની આચાર્ય
મોહમ્મદ રફી ઉપરાંત રજની આચાર્યએ ગુજરાતના લેજન્ડરી ગીતકાર – સંગીતકાર અવિનાશ વ્યાસની પણ લાઇફોગ્રાફી તૈયાર કરી છે જે ટૂંક સમયમાં રિલીઝ કરાશે.