તાજેતરમાં રિલીઝ કરાયેલા મેજરના ટ્રેલરે દર્શકોમાં હલચલ મચાવી દીધી છે. આજના જમાના વીર નાયક મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનની બહાદુરીની ગાથા જોવા દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
જોકે પહેલીવાર જનતાની માગણીને કારણે, મેજરની ટીમ પ્રશંસકો માટે એક અનોખી મલ્ટી-સિટી પ્રીમિયર સ્ક્રીનિંગનું આયોજન કરી રહી છે. આને કારણે દર્શકોને રિલીઝ પહેલા મેજર જોવાનો લ્હાવો મળશે. આદિવી શેષ અભિનીત ફિલ્મ મેજરનું પુણે, અમદાવાદ, જયપુર, દિલ્હી, બેંગલુરુ, લખનઊ, કોચી, હૈદરાબાદ અને મુંબઈમાં ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. દર્શક એના શહેરની ટિકિટ બુક કરવા બુક માય શો ઍપ પર જઈ શકે છે.
આ નવી પહેલ અંગે જણાવતા અભિનેતા આદિવી શેષે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, મેજર ત્રીજી જૂને રિલીઝ થઈ રહી છે, અને સંદીપ ઉન્નીકૃષ્ણન સરની વાત કંઇક એવી છે જેને દરેક ભારતીયે જોવી જોઇએ. અને એટલા માટે અમે ભારતમાં પહેલીવાર એક ફિલ્મને દેશભરના દર્શકોને દર્શાવવામાં આવશે. મેજર ત્રીજી જૂને અધિકારિક રીતે રિલીઝ થાય એ પહેલાં વિવિધ શહેરોમાં એ દર્શાવવામાં આવશે. અમારી પાસે છુપાવવા જેવું કંઈ જ નથી, તો મળીએ ટૂંક સમયમાં આપના શહેરમાં.
મેજર ફિલ્મની વાર્તા 26 નવેમ્બર, 2008માં મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા પર આધારિત છે. એ સમયે શહેરની પ્રતિષ્ઠિત તાજમહેલ પેલેસ હોટેલમાં પણ આતંકવાદીઓએ કેર વર્તાવ્યો હતો. અહી શહીદ થવા પહેલા મેજર સંદીપ ઉન્નીકૃષ્ણને અનેક બંધકોને છોડાવ્યા હતા. આતંકવાદી હુમલા સમયે જીવની પરવા કર્યા વિના દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનને 26 જાન્યુઆરી, 2009ના અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મહેશ બાબુની જી.એમ.બી. એન્ટરટેઇન્મેન્ટ અને એ પ્લસ એસ મૂવીઝના સહયોગથી સોની પિક્ચર્સ ઇન્ટરનેશનલ પ્રોડક્શન દ્વારા નિર્મિત અને શશિ કિરણ ટિક્કા દિગ્દર્શિત ફિલ્મમાં આદિવી શેષ, શોભિતા ધૂલિપાલા, સઈ માંજરેકર, પ્રકાશ રાજ, રેવતી અને મુરલી શર્મા જેવા કલાકારો જોવા મળશે. ત્રજી જૂને ફિલ્મ હિન્દી ઉપરાંત તેલુગુ અને મલયાલમ ભાષામાં પણ રિલીઝ થશે.