૬૭મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિતરણ સમારંભમાં સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને ફિલ્મોમાં આપેલા મહત્ત્વના યોગદાન માટે દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવમાં આવ્યા. રજનીકાંત લાખો ચાહકોના દિલ પર રાજ કરી રહ્યા છે. છેલ્લા ૩૦ વરસથી રજનીકાંત તેમના ચાહકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યા છે. રજનીકાંતે ફિલ્મક્ષેત્રે આપેલા યોગદાનની કદરરૂપે તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા. આ પ્રસંગે રજનીકાંતનાં પત્ની લતા, દીકરી સૌંદર્યા અને જમાઈ ધનુષ પણ ઉપસ્થિત હતાં. આ પુરસ્કાર લીધા બાદ તેમણે આપેલા ભાષણમાં અનેકનો આભાર માન્યો હતો. એ સાથે એવોર્ડ તેમના ગુરુ કે. બાલાચંદ્રને અર્પણ કરી રહ્યા હોવાનું જણાવ્યું.
રજનીકાંતે એવોર્ડ સ્વીકાર્યા બાદ તેમની લાગણીઓ વ્યક્ત કરતા કહ્યું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહત્ત્વની કામગીરી કરનારને દર વરસે દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા છે. આ વરસે મને આ માન અપાયું એનો ઘણો આનંદ છે. એ માટે હું કેન્દ્ર સરકારનો આભાર માનું છું. હું આ એવોર્ડ મારા ગુરુ કે. બાળાચંદ્રને સમર્પિત કરું છું.
એ સાથે હું એમનો પણ આભાર માનીશ જેમણે મારા સમગ્ર પ્રવાસ દરમિયાન મને સાથ આપ્યો. મારા ભાઈ સત્યનારાયણ ગાયકવાડ, જેઓ મારા વડીલ જેવા છે. તેમણે મને ઉત્તમ સંસ્કારની સાથે અધ્યાત્મનું જ્ઞાન આપ્યું. ઉપરાંત, કર્ણાટકના મારા મિત્ર અને સહકારી રાજબહાદુર જે બસ ડ્રાઇવર હતા, તેમનો હું ખાસ આભાર માનીશ. કારણ હું જ્યારે કંડકટર હતો ત્યારે એમણે જ મારી અભિનય પ્રતિભા પારખી અને મને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જવાનું પ્રોત્સાહન આપ્યું હતું. આ સર્વેને હું મારો પુરસ્કાર સમર્પિત કરું છું.
એટલું જ નહીં, તમામ નિર્માતા, દિગ્દર્શક, સહકલાકાર, ટેકનિશિયન, વિતરકો, મીડિયા અને મારા ચાહકોનો હું આભાર માનું છું.
રજનીકાંતને જ્યારે એવોર્ડ એનાયત થયો ત્યારે ઉપસ્થિતિ તમામ મહેમાનોએ સ્ટેન્ડિંગ ઓવેસન આપ્યું હતું.