ફિલ્મ અને થિયેટર અભિનેતા જાવેદ ખાન અમરોહીનું મંગળવારે ફેફસાંની નિષ્ફળતાને કારણે મુંબઈની એક હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ 74 વર્ષના હતા.
જાવેદ ખાનને શ્વાસ લેવામાં તકલીફ હતી અને છેલ્લા એક વર્ષથી તેઓ પથારીવશ હતા. તેમને સાંતાક્રુઝનાં સૂર્યા નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના બંને ફેફસા ફેલ થઈ ગયા હતા. આજે સાંજે 6.30 કલાકે ઓશિવારા કબ્રસ્તાનમાં અંતિમવિધિ કરવામાં આવી હતી.
જાવેદ ખાનના બંને ફેફસા ફેલ થવાના કારણે બપોરે 1 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું એમ લગાનના જાવેદ ખાન અમરોહીના કો-સ્ટાર અખિલેન્દ્ર મિશ્રાએ ફેસબુક પર શ્રદ્ધાંજલિ આપતા લખ્યું હતું. જાવેદ ખાન સાહેબ પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના. મહાન અભિનેતા, વરિષ્ઠ કલાકાર અને IPTA (ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશન)ના મહત્વપૂર્ણ સભ્ય.
પચાસ વરસની કરિયર દરમિયાન જાવેદ ખાન અમરોહી લગાન, અંદાજ અપના અપના, ચક દે ઈન્ડિયા, હમ હૈ રાહી પ્યાર કે, લાડલા, ઈશ્ક જેવી અન્ય ઘણી ફિલ્મોમાં દેખાયા હતા. તે ટીવી શો મિર્ઝા ગાલિબ અને નુક્કડમાં પણ જોવા મળ્યા હતા.
અમરોહીના પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી છે.