૮૦ વરસના તુલસીદાસ સોનીએ એમની જિંદગીના ૬૦ વરસ મોહમ્મદ રફીના ગીતો સ્ટેજ પર ગાવામાં ગુજારી હતી. અજમેરના મોહમ્મદ રફી તરીકે જાણીતા તુલસીદાસ છેલ્લા થોડા વરસોથી રાજકોટમાં રહેતા હતા. કોરોનાની બીજી લહેરમાં તુલસીદાસ પણ કોરોના સંક્રમિત થયા. તેમના ફેફસા ૫૦ ટકા ડેમેજ થયા હતા. હાલત એટલી કથળી કે તેઓ બેભાન થઈ ગયા. ડૉક્ટર્સની ભારે જહેમતને કારણે સોની ભાનમાં તો આવ્યા પણ તેમની યાદદાસ્ત જતી રહી. આપ્તજનોને પણ તેઓ ઓળખી શકતા નહોતા.
પરિસ્થિતિ નાજુક હોવા છતાં તેમનાં પુત્રી ભાવનાબહેન જોગિયા હિંમત હાર્યા નહીં. તેમણે એક અખતરો કરવાનું નક્કી કર્યું. પિતાએ જીવનના છ દાયકા રફીનાં ગીતો ગાવામાં વીતાવ્યા હોવાથી તેમના પ્રિય ગાયકનાં ગીતો સંભળાવવાનું નક્કી કર્યું. ભાનુબહેન મોબાઇલથી રફીનું ગીત સંભળાવતા અને પૂછતા કે આ ગીત યાદ છે. અને મજાની વાત એ કે તુલસીદાસ ગીતની વિગત જણાવવાની સાથે ગાઈને પણ સંભળાવે. બસ, ભાનુબહેન અને પરિવારના અન્ય સભ્યોને સમજાઈ ગયું કે તેમની યાદદાસ્ત સંગીતના માધ્યમથી જ પાછી આવી શકે છે.
તાનસેનથી લઈ બૈજુ બાવરા, તાનારીરી સુધી સંગીતની શક્તિની અનેક વાતો આપણે સાંભળી ચુક્યા છીએ. મ્યુઝિક થેરેપી દ્વારા અનેક દરદીઓ સાજા થયા હોવાના કિસ્સા ભાવનાબહેને સાંભળ્યા-અનુભવ્યા હતા. એટલે તેમણે પણ આ પદ્ધતિ અપનાવવાનું નક્કી કર્યું. તેઓ રોજ પિતાને રફીનાં ગીત સંભળાવે અને તેમની પાસે ગવડાવે. તેમની શ્રદ્ધા ફળી અને તુલસીદાસ નજદિકના પરિવારજનોને ઓળખતા થયા. અને આજે તેમની પૂરી યાદદાસ્ત પાછી આવી હોવાનું ભાવનાબહેને જણાવ્યું.
તુલસીદાસની સ્મૃતિ તો સંગીતને કારણે પાછી ફરી એમ પરિવારજનોનું માનવું છે. ભાવનાબહેન કહે છે અગાઉ પણ અમને મ્યુઝિક થેરેપીનો અનુભવ થઈ ચુક્યો છે. તેઓ જણાવે છે કે તેમનો પુત્ર ત્રણ વરસનો હતો ત્યારે મગજમાં તાવ ચડી જતા બોલવાની શક્તિ જતી રહેલી. ત્યારે ધ્રુવના દાદા તુલસીદાસે મ્યુઝિક થેરેપી આપી હતી. ત્રણ વરસની જહેમતના અંતે એ પાછો બોલતા-ગાતા શીખ્યો હતો.
તુલસીદાસ સોની પરિવારના મોટાભાગના સભ્યો સંગીત સાથે સંકળાયેલા છે. ભાવનાબહેન પોતે સૂફી સંગીત પર પીએચ.ડી કરી રહ્યાં છે. તો તેમનાં મોટાબહેન ક્રિશ્ના રાણીગા પોરબંદર ખાતે સુરભી કલાવૃંદ નામની સંગીતની સંસ્થા ચલાવે છે.
ધ રાજકોટ ન્યુઝ