બૉલિવુડ આજકાલ ફિલ્મોના બૉયકોટ ટ્રેન્ડને કારણે પરેશાન છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફિલ્મો એક પછી એક બૉક્સ ઑફિસ પર ઊંધે માથે પછડાઈ રહી છે. સુપરસ્ટાર્સમાં જેમની ગણતરી થાય છે એવા આમિર ખાન, રણબીર કપૂર કે અક્ષય કુમારના નામે પણ ફિલ્મો હિટ કરાવી શકતા નથી. એમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બૉયકોટ નામનું નવું ગ્રહણ લાગ્યુ છે. આ અંગે અનેક હસ્તીઓએ તેમની પ્રતિક્રિયા આપી છે એમાં હવે કરણ જોહરનો પણ ઉમેરો થયો છે.
હૈદરાબાદ ખાતે બ્રહ્માસ્ત્રના પ્રમોશન માટે ગયેલા કરણ જોહરે બૉલિવુડના બૉયકોટ ટ્રેન્ડ વિશે કહ્યું કે અમે સારી ફિલ્મ બનાવવાના પ્રયાસો કરીએ છીએ. જેમ એસ.એસ. રાજામૌલીએ કહ્યું કે આ ભારતીય સિનેમા છે. એને બીજું નામ આપવાની જરૂર નથી. પણ આપણે એને બૉલિવુડ, ટોલિવુડ જેવા નામો આપીએ છીએ. આપણે જંગલમાં નથી રહેતા, આપણે એની બહાર છીએ. અમને ગર્વ છે કે અમે ભારતીય સિનેમાના હિસ્સો છીએ. હવે દરેક ફિલ્મ ભારતીય હશે.
જોકે કરણ જોહરની આ ટિપ્પણી બ્રહ્માસ્ત્રને સોશિયલ મીડિયા પર બૉયકોટ કરવાનો ટ્રેન્ડ શરૂ થયા બાદ આવી છે. હકીકતમાં ધર્મા પ્રોડક્શનની ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવની એક ટ્વીટે ભારે ઉહાપોહ મચાવ્યો હતો. બબાલ મચ્યા બાદ ધર્મા પ્રોડક્શનની એક્ઝિક્યુટિવ શ્રીમી વર્માએ એનું ટ્વીટર અકાઉન્ટ બંધ કરી દીધું છે.

શ્રીમી વર્મા છેલ્લા થોડા વરસોથી એના ટ્વીટર હેન્ડલ પર અનેક અપમાનજનક અને હિન્દુ વિરોધી ટ્વીટ કર્યા છે. 2019માં એણે ગર્વથી ઘોષણા કરી હતી કે એના પિતા એક સંઘી હતા પણ એ નથી. સંઘી (આરએસએસનો સભ્ય) એક એવો શબ્દ છે જેનો ઉપયોગ ડાબેરીઓ હિન્દુઓની મજાક ઉડાવવા માટે કરતા હોય છે.
