બૉલિવુડમાં ખાસ ઉકાળી ન શકેલી ઘણી હીરોઇનો આજકાલ સોશિયલ મીડિયા પર ઍક્ટિવ રહેવાની સાથે ચર્ચામાં પણ રહેતી હોય છે. આવી એક અભિનેત્રી છે પાયલ રોહતગી. એની ફિલ્મી કરિયર ખાસ લાંબી ચાલી નહીં પણ સોશિયલ મીડિયા પર કરેલી ટિપ્પણીને કારણે આજકાલ સમાચારોમાં ઝળકી રહી છે. હાલ મક્કલ નિધિ મૈયમ (એમએનએમ) પક્ષના સ્થાપક અને સાઉથના જાણીતા કલાકાર કમલ હાસને પહેલો આતંકવાદી હિન્દુ હોવાના કરેલા નિવેદન પર બધાએ ભરપુર ટ્રોલ કર્યો. આ ટ્રોલર્સની પલટનમાં હવે પાયલ રોહતગી પણ જોડાઈ છે. એણે કમલ હાસનને બુઢ્ઢો હોવાનું જણાવી ઉમેર્યું હતું કે 60 વરસ બાદ માણસનું દિમાગ કામ કરતું બંધ થઈ જાય છે.
પાયલ રોહતગીએ એના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લખ્યું હતું કે, એક હિન્દુએ બીજા હિન્દુને માર્યો. એને તમે હત્યા કહી શકો, આતંકવાદ કઈ રીતે કહી શકાય? આતંકવાદી એ હોય છે જે નિર્દોષ એવા અન્ય ધર્મીઓને મારતા હોય છે. કારણ, તેઓ અન્ય ધર્મોને નફરત કરતા હોય છે. બુઢાપામાં લોકો સઠિયા જાય છે. કમલ હાસન તેમની રાજકીય કારકિર્દી શરૂ કરવા માટે નથુરામ ગોડસેને ભારતના પહેલા આતંકવાદી કહી રહ્યા છે.
કમલ હાસન ઉપરાંત પાયલે અનેક બૉલિવુડ સેલેબ્સને પણ ટાર્ગેટ બનાવ્યા છે. પાયલે એના ટ્વીટર અકાઉન્ટ પર એક વિડિયો શેર કરવાની સાથે લખ્યું, સ્વરા આન્ટી પોતાને ફેમિનિઝમની સમર્થક ગણાવે છે. એ સાથે કોંગ્રેસ, આપ અને કમ્યુનિસ્ટ પાર્ટીના ઉમેદવાર કનૈયાકુમારને સપોર્ટ કરી રહી છે. ગજબનું સમર્થન. ટ્વીટર પર પાયલ ખુલ્લેઆમ ભાજપને ટેકો આપવાની સાથે કોંગ્રેસને આડે હાથ લેતા અચકાતી નથી.