ઇ.સ. ૧૯૦૧માં ૧૨ વર્ષની ઉંમરે સૌપ્રથમ ‘સૌભાગ્ય સુંદરી‘માં મહિલાની સર્વોત્તમ ભૂમિકા કરી અને તેઓ ‘ભોજક’ના બદલે ‘સુંદરી’ નામે ઓળખાયા.
૧૮૯૭માં તેમણે પોતાની કારકિર્દીનો પ્રારંભ કલકત્તાની ઉર્દૂ નાટક મંડળીમાં જોડાઈને કર્યો હતો. ત્યારબાદ તેઓ ૧૯૦૧માં છોટાલાલ કાપડિયાના મુંબઈ ગુજરાતી નાટક મંડળમાં જોડાયા. ગુજરાતીની સાથે તેમણે હિંદી અને ઉર્દૂ ભાષાના નાટકોમાં પણ કામ કર્યું હતું.
તેમણે નાટકોમાં મુખ્યત્વે સ્ત્રી ભૂમિકાઓ ભજવી હતી કારણકે તે સમયે નાટકોમાં સ્ત્રીઓને કામ કરવાની મનાઇ હતી.
મુંબઈમાં પારસી થિયેટરના શેક્સપિયરના ‘ઓથેલો‘ પર આધારિત નાટક ‘સૌભાગ્ય સુંદરી’માં તેમણે ડેસ્ડેમોના પાત્રને “સુંદરી” તરીકે ભજવ્યું હતું. આ નાટક અત્યંત સફળ રહ્યું હતું અને તેના પછી જયશંકરને ‘સુંદરી’ ઉપનામ મળ્યું હતું.
‘સૌભાગ્ય સુંદરી’માં બાપુલાલ નાયક સાથે જયશંકર ભોજક સુંદરીની ભૂમિકામાં
બાપુલાલ નાયકની સાથે તેમણે અનેક નાટકોમાં મુખ્ય મહિલા પાત્રો ભજવ્યા હતા. બાપુલાલ નાયક સાથે તેમણે ગોવર્ધનરામ ત્રિપાઠીના સરસ્વતીચંદ્ર, નૃસિંહ વિભાકર અને મુળશંકર મુલાણીના નાટકો ભજવ્યા હતા. ૧૯૩૨માં તેઓ નિવૃત્ત થયા બાદ વિસનગર પાછા ફર્યા હતા. જ્યાં તેમણે રંગભૂમિ વિશે લેખો લખવાનું શરૂ કર્યું.
૧૯૪૮થી ૧૯૬૨ સુધી તેઓ અમદાવાદમાં રંગભૂમિમાં દિગ્દર્શક રહ્યા હતા.
ઇ.સ. ૧૯૪૮માં અમદાવાદ ખાતે રસિકલાલ પરીખ અને ગણેશ માવળંકરની સાથે નાટ્ય વિદ્યામંદિરની રચના કરી, જેમાં તેઓ આચાર્ય બન્યા. આ વિદ્યામંદિરમાંથી નાટકશાળા ‘નાટ્ય મંડળ’નો જન્મ થયો હતો. દલપતરામના નાટક ‘મિથ્યાભિમાન’ વડે તેમણે લોકકલા ભવાઈને પુન:જીવિત કરી હતી. ૧૯૫૩માં તેમણે ‘મેના ગુર્જરી’ જેવા નાટકો વડે ભવાઈ અને બીજિંગ ઓપેરા જેવી કળાનું મિશ્રણ કર્યું હતું.
તેમનું અવસાન ૨૨ જાન્યુઆરી ૧૯૭૫ના રોજ વિસનગરમાં થયું હતું.
અવૉર્ડ્સ
જયશંકર ભોજક-સુંદરીને 1951માં ગુજરાતી સાહિત્યના સર્વોચ્ચ સન્માન ગણાતો રણજીતરામ સુવર્ણ ચંદ્રક એનાયત કરાયો હતો. જ્યારે 1957માં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના હસ્તે રાષ્ટ્રપતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ પુરસ્કારનું નામ હવે સંગીત નાટક અકાદમી પુરસ્કાર કરવામાં આવ્યું છે. 1963માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદમાં કલા વિભાગના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. 1967માં સુંદરીને ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય અકાદમી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. જયશંકર ભોજક-સુંદરીને 1971માં રાષ્ટ્રપતિ વી. વી. ગિરિના હસ્તે દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા હતા.
માર્ચ 1957માં નવી દિલ્હી ખાતે યોજાયેલા સંગીત નાટક અકાદમી અવૉર્ડ સમારંભમાં મામા વારેકર (ડાબે) અને સી. જી. કોલ્હટકર (વચ્ચે) સાથે જયશંકર સુંદરી.
જયશંકર ભોજક-સુંદરીની આત્મકથા થોડા આસું, થોડા ફૂલ તેમના દીકરા દિનકર ભોજક અને સોમાભાઈ પટેલે ચાર વરસની જહેમતે લખી હતી. 1976માં પ્રકાશિત થયા બાદ એની સુધારિત આવૃત્તિ 1989માં પ્રકાશિત કરાઈ. 2002માં પ્રથમ આવૃત્તિનો હિન્દી અનુવાદ દિનેશ ખન્નાએ કુછ આસું, કુછ ફૂલ નામે કર્યો હતો જે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા દ્વારા પ્રકાશિત કરાયો હતો. આત્મકથાનો અંગ્રેજી અનુવાદ પણ પ્રસિદ્ધ થયો છે.
જયશંકર સુંદરીની યાદગીરી કાયમ રહે એ માટે અમદાવાદના થિયેટરને જયશંકર સુંદરી નાટ્યગૃહ નામ આપવામાં આવ્યુ છે.