સલમાનને કરડનાર સાપ ઝેરીલો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી
બૉલિવુડના સ્ટાર સલમાન ખાનને સાપ કરડ્યો હોવાની ઘટના એના પનવેલ સ્થિત ફાર્મ હાઉસ ખાતે બની હતી. હકીકતમાં એના જન્મદિવસ (27 ડિસેમ્બર)ની ઉજવણી માટે એ પનવેલના ફાર્મ હાઉસ ગયો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. હાલ એની તબિયત સારી છે અને એના ફાર્મ હાઉસ પર આરામ કરી રહ્યો છે.
મળતી જાણકારી મુજબ સલમાન જન્મદિવસના સેલિબ્રેશન માટે નવેલ ફાર્મ હાઉસ ગયો હતો. ત્યાં શનિવારે રાત્રે 2-3 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. સાપ કરડતા એને તુરંત પનવેલ પાસેની કામોઠે ખાતે આવેલી એમજીએમ હૉસ્પિટલ લઈ જવાયો હતો. અહીં સારવાર લીધા બાદ એ ફાર્મ હાઉસ પાછો આવ્યો હતો. સદનસીબે સલમાનને કરડનાર સાપ ઝેરીલો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
સલમાન ખાનનું ફાર્મ હાઉસ પનવેલના ગ્રામીણ વિસ્તારમાં આવેલું છે. માથેરાનના ડુંગરોની હારમાળ વચ્ચે આવેલા નેરે ખાતે ફાર્મ હાઉસ છે. અહીં એ અવારનવાર આવતો રહે છે. અહીં ખેતરમાં કામ કરતા, ટ્રેક્ટર ચલાવતા અનેક ટો-વિડિયો વાયરલ થયા છે. સોમવારે એનો જન્મદિવસ હોવાથી અને ક્રિસમસની રજા હોવાથી એ ફાર્મ હાઉસ ગયો હતો. રાત્રે એ ફરી રહ્યો હતો ત્યારે એને એરુ આભડી ગયો. જોકે આ અંગે ભારે ચુપકિદી સેવાઈ રહી છે.