લકીરો એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે જેમાં એક યુગલની વાત આલેખવામાં આવી છે
નવા વરસના પહેલાં શુક્રવારે (૬ જાન્યુઆરી ૨૦૨૩) રિલીઝ થઈ રહેલી ગુજરાતી ફિલ્મ લકિરોનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. લકીરો એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે જેમાં એક યુગલ અને તેમનાં લગ્ન પછીની યાત્રાની વાત આલેખવામાં આવી છે. ફિલ્મ લાગણીઓ, સંબંધો અને પ્રેમના રોલર કોસ્ટરની સવારી જેવી છે.
એક ધંધાદારી ક્રિકેટર અને સેલિબ્રિટી શેફ દ્વારા સ્થાપિત નિર્માણ સંસ્થા રાજયોગી પ્રોડક્શનને ટ્વેન્ટી ૨૧ સ્ટુડિયોમાં સહયોગમાં બનાવેલી લકીરોના લેખક – દિગ્દર્શક છે ડૉ. દર્શન અશ્વિન ત્રિવેદી. પ્રોડક્શન હાઉસનો ઉદ્દેશ છે ગુજરાતી ભાષામાં શ્રેષ્ઠત્તમ ફિલ્મોનું નિર્માણ કરવાનું.
મૃગતૃષ્ણા અને મારા પપ્પા સુપરસ્ટાર જેવી ફિલ્મો આપી ચુકેલા ડૉ. દર્શન અશ્વિન ત્રિવેદી હવે લકીરો લઈને આવી રહ્યા છે. ટ્રેલર લોન્ચિંગના અવસરે તેમણે કહ્યું કે, આ ફિલ્મ સાથે મારી લાગણીઓ જોડાયેલી છે. અમુક સત્ય ઘટનાઓ પરથી ફિલ્મની વાર્તા પ્રેરિત છે. મેં આ ફિલ્મને સંબંધો, પ્રેમ અને લાગણીઓના અનોખા દૃષ્ટિકોણ સાથે બનાવી છે. જેવી ફિલ્મની મેં પરિકલ્પના કરી હતી એને સાકાર કરવામાં મારા કલાકારો, કસબીઓની સાથે સંગીતકાર પાર્થ ભરત ઠક્કરનો પૂરો સહકાર મળ્યો છે. પાર્થનું સંગીત અદભુત છે.
નિર્માતા પણ ફિલ્મ અંગે ઘણા ઉત્સાહિત છે. તેમણે જણાવ્યું કે લકિરોની યાત્રા અને નિર્માણ હકીકતમાં લકીરો (ડેસ્ટિની) છે કારણ, અને જે કંઈ ફિલ્મ માટે વિચાર્યું હતું એ બધું સમુસુતરું પાર પાડ્યું.
સ્નેહ શાહ, પ્રણવ જોશી, દર્શન અશ્વિન ત્રિવેદી, સૂર્યવીર સિંહ અને ભરત મિસ્ત્રી દ્વારા નિર્મિત અને રોનક કામદાર, દીક્ષા જોશી, નેત્રી ત્રિવેદી, શિવાની જોશી, વિશાલ શાહ અને ધર્મેશ વ્યાસ અભિનીત લકીરો ૬ જાન્યુઆરી, ૨૦૨૩ના રિલીઝ થઈ રહી છે.