પૈસો જીવનમાં શું નથી કરાવતો… પરિવારમાં ભાગલા જ નથી પડાવતો જાની દુશ્મન પણ બનાવી દે છે. તો પૈસા માટે પોતાનાને પારકા બનાવનાર પૈસાની લાલચમાં પારકાને પણ પોતીકા બનાવવા તૈયાર થઈ જાય છે. અને એટલા માટે જ કહેવાય છે કે પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ. આ વાતને કેન્દ્રમાં રાખી કવિઓએ પણ પોતાની શૈલીમાં જણાવવાનો પ્રયાસ કર્યો છે. એક કવિએ લખ્યું કે…
પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ
પણ એ ના ભૂલો કુટુંબ અને મિત્રો પણ છે ખાસ,
પણ જો એ ના સમજ્યા તો જીવનમાં આવી શકે છે ત્રાસ
તો અન્ય કવિએ લખ્યું છે કે
પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ
દોડ લગાવી આંધળા થઈને ભાગું ફાસમફાસ
ઊંધા પછડાશો, ગબડી પડશો મુશ્કેલી ઊભી થાશે
આડેઅવળેથી આવેલો પૈસો ખાડામાં ફસાવશે.
પૈસાને કેન્દ્રમાં રાખી સસ્પેન્સ થ્રિલર-મર્ડર મિસ્ટ્રી-રોબરી-કૉમેડી જેવા વિવિધ જૉનરની ફિલ્મો બની છે. પણ લેખક-દિગ્દર્શક મનીષ સૈની વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોની લાગણી અને પુત્રોની પૈસા પ્રત્યેની ભક્તિને કેન્દ્રમાં રાખી મજેદાર સોશિયલ કૉમેડી ફિલ્મ જય માતાજી : લેટ્સ રૉક લઈને આવ્યા છે.
ફિલ્મના કેન્દ્રમાં છે ગુજરાતના નાનકડા શહેરમાં રહેતાં એંસી વરસના દાદી સૂરજમુખી (નીલા મુલ્હેરકર). તેમના બે દીકરા કમલ જોશી (ટીકુ તલસાણિયા) અને ગુલાબ જોશી (શેખર શુક્લા) બે પૌત્રો હોવા છતાં વૃદ્ધાશ્રમમાં રહેવાનો વારો આવે છે. આર્થિક તંગી અનુભવતા બંને પુત્રો વૃદ્ધાશ્રમમાં પૈસા ચૂકવવા ન પડે એ માટે ઘરનું સરનામું અને ફોન નબર પણ ખોટા લખાવે છે. જોકે મોટા દીકરાના હૈયામાં રામ વસતા એ બાને પાછા ઘરે લઈ આવે છે. બા ઘરે તો આવ્યા પણ સાસુની ડિમાન્ડને કારણે વહુ (વંદના પાઠક) એવી ત્રાસી જાય છે કે તેમને પાછાં વૃદ્ધાશ્રમ કે દિયરને ત્યાં મોકલી દેવાની વાત કરે છે. દરમિયાન સરકાર એક યોજનાની જાહેરાત કરે છે કે એંસી વરસથી વધુ વયના નાગરિકોને દર મહિને એક લાખ રૂપિયાની સન્માન નિધિ મળશે.
પત્યું. સાસુમાને પાછાં મોકલી દેવાની વાત કરતી મોટી વહુ ફરી તેમની સરભરા કરવા લાગે છે. તો નાની વહુ અને દીકરો પણ માતાજીને તેમના ઘરે આવવા માટે વિનવણી કરવા લાગે છે. અત્યાર સુધી ઓશિયાળું જીવન જીવતા માતાજીમાં ફરી શક્તિનો સંચાર થાય છે. પણ કહે છે ને કે સારા કામમાં સો વિઘન. એક લાખ રૂપિયાનું સન્માન નિધિ મેળવવા જરૂરી દસ્તાવેજો ન હોવાથી સૂરજમુખીને પેન્શન કાર્ડ મળતું નથી. દરમિયાન માતાજીના જીવનમાં તેમની જુવાનીકાળના પ્રેમી ચંદ્રમોહનની એન્ટ્રી થાય છે.
અત્યાર સુધી રાજકીય પક્ષોને ભાડાની ભીડ મોકલવાની હવા બદલો ડૉટ કૉમ નામની સંસ્થા ચલાવતો કમલનો પુત્ર ચંકી દસ્તાવેજોને કારણે પેન્શન કાર્ડ ન મેળવી શકેલાઓ માટે આંદોલન ચલાવે છે. ચંકીનું આંદોલન સફળ થાય છે અને જેમની પાસે દસ્તાવેજ નહોતા તેમને પણ કાર્ડ આપવાનો નિર્ણય સરકાર લે છે. વૃદ્ધોના સુખી જવન માટે લીધેલો આ નિર્ણય જોશી પરિવારમાં ફરી સુનામી લાવે છે.
આ સુનામીને ટાળવા બંને ભાઈઓ સમી સાંજે સુરાપાન કરતા સીઝફાયર કરવાનું નક્કી કરે છે. એ સાથે તેઓ માતાજીનાં લગ્ન તેમના પ્રેમી સાથે કરાવવા પણ રાજી થાય છે. જેથી બંનેના ભાગે આવનારા એક-એક લાખ રૂપિયા બંને બે ભાઈઓની તિજોરીમાં સરખા ભાગે જાય. માતાજીના પેન્શનની સાથે સિવાય ચંકી અને મિસ નૈતિક (વ્યોમા નંદી)ના પ્રેમ પ્રકરણ પણ આગળ વધતું રહે છે.
જોકે વાર્તાનો અસલી સાર એનો ક્લાઇમેક્સ છે એ જોવા તો થિયેટર સુધી તો જવું જ પડે. બાકી ફિલ્મને રસપ્રદ બનાવવામાં સિંહફાળો જો કોઈનો હોય તો એ છે એંસી વરસની હીરોઇન (એટલા માટે કે તેમનો લવ એન્ગલ પણ છે) નીલા મુલ્હેરકર. લાજવાબ અભિનય વડે હિન્દી-મરાઠી ફિલ્મોની અભિનેત્રી દર્શકોના દિલ જીતી જાય છે. જ્યારે ટીકુ તલસાણિયા અને શેખર શુક્લાની અભિનયની જુગલબંદી મોજ કરાવી જાય છે. મલ્હાર ઠાકરને સ્ટારડમ તેની અભિનય ક્ષમતાને કારણે મળ્યું છે એ વાત ફરી આ ફિલ્મ પુરવાર કરે છે. વ્યોમા નંદીને પણ જેટલા સીન મળ્યા છે એમાં પોતાની ક્ષમતા પુરવાર કરી છે. જ્યારે વંદના પાઠક, ઉત્કર્ષ મજુમદાર, શિલ્પા ઠાકર અને આર્યન પ્રજાપતિએ પણ તેમના પાત્રને યોગ્ય ન્યાય આપ્યો છે.
જોકે આવી મજેદાર ફિલ્મ બનાવવાનું શ્રેય કોઈને જતું હોય તો એ છે લેખક-દિગ્દર્શક મનીષ સૈનીને.
પૈસાને કારણે થતા વિખવાદ હોય કે વૃદ્ધોની મજબૂરીનાં લાગણીસભર દૃશ્યોની સાથે હાસ્યરસનું ગજબનું સંતુલન જાળવવામાં દિગ્દર્શક સફળ રહ્યા છે.
ફિલ્મનો જો આજની સ્ટાર સિસ્ટમ મુજબ રિવ્યુ કરવો હોય તો જય માતાજી : લેટ્સ રૉકને સાડાત્રણ સ્ટાર આપી શકાય.