બૉલિવુડના અભિનેતા ઇરફાન ખાનને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરાયો છે. સૂત્રના જણાવ્યા મુજબ મંળવારે સવારે ઇરફાન બાથરૂમમાં પડી ગયો હતો. એને અચાનક અશક્તિ લાગવાની સાથે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાથી તુરંત હોસ્પિટલ લઈ જવાયો. જોકે એની તબિયત અંગેની વધુ જાણકારી મળી શકી નથી. હજુ થોડા દિવસ અગાઉ ઇરફાનની માતા સઈદા બેગમનું જયપુરમાં અવસાન થયું હતું. જોકે લૉકડાઉન અને તબિયત ખરાબ હોવાથી માતાની અંતિમવિધિમાં ભાગ લઈ શક્યો નહોતો.
બે વરસ અગાઉ માર્ચ 2018માં ઇરફાનને એની બીમારીની જાણ થઈ હતી. એણે ટ્વીટ કરી ચાહકોને જાણ કરી હતી કે મને ન્યુરો ઇંડોક્રાઇન ટ્યુમર નામની બીમારી થઈ છે. બીમારીની જાણ થયા બાદ ઇરફાન સારવાર માટે લંડન ગયો હતો. જ્યાં એ એક વરસ રહ્યો અને માર્ચ 2019માં ભારત પાછો ફર્યો.
ભારત પાછા આવ્યા બાદ એણે અગ્રેજી મીડિયમનું શૂટિંગ રાજસ્થાનમાં શરૂ કર્યું. અને બીજા શિડ્યુલ માટે લંડન ગયો જ્યાં એ ડૉક્ટર્સ સાથે પણ સંપર્કમાં હતો. જોકે ઇરફાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમ રિલીઝ થયા બાદ બે દિવસ ચાલ્યા બાદ દેશભરમાં લૉકડાઉન જાહેર થતાં બધા થિયેટરને તાળા લાગી ગયા હતા. આખરે નિર્માતાએ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ કરવી પડી.