લૉકડાઉનમાં રહેતા લોકોના મનોરંજન માટે ઘનશ્યામ રાવલનો કાર્યક્રમ હસરત જયપુરી સ્પેશિયલ

લૉકડાઉન દરમ્યાન ઘરમાં રહીને કંટાળી જતા લોકોના મનોરંજન માટે અનેક કલાકારો આગળ આવ્યા છે. ખાસ કરીને ગાયક કલાકારો ફૅસબુક પર લાઇવ પર્ફોર્મ કરી લોકોના માઇન્ડને ફ્રેશ કરવાનું મહત્ત્વનું કાર્ય કરી રહ્યા છે. આવા એક કલાકાર છે રાજકોટના ઘનશ્યામ રાવલ.

ઘનશ્યામ રાવલ છેલ્લા અઢારેક વરસથી રાજકોટમાં સૂરમંદિર ક્લબ ચલાવે છે. વરસના 6-7 સંગીતના કાર્યક્રમનું આયોજન કરતા ઘનશ્યામ રાવલે છેલ્લા પચાસ કરતા વધુ દિવસોથી લૉકડાઉનમાં રહેતા લોકોના મનોરંજન માટે એક મજેદાર કાર્યક્રમનું આયોજન કર્યું છે. આજે એટલે કે ગુરૂવારે સાંજે 4.30 થી 6.30 દરમ્યાન ફૅસબુક લાઇવ પર બૉલિવુડના રોમાન્ટિક ગીતોના બાદશાહ ગણાતા હસરત જયપુરી સ્પેશિયલ કાર્યક્રમ રજૂ કરશે. કાર્યક્રમમાં તેમને સાથ આપશે મુંબઈનાં જાણીતાં ગાયિકા મિતાલી મેલેકર.

ઘનશ્યામ રાવલ સાથે મિતાલી મેલેકર

કાર્યક્રમમાં હસરત જયપુરીની પુત્ર અખ્તર પણ મુંબઈથી ખાસ ઉપસ્થિત રહેશે. ઘનશ્યામ રાવલે જણાવ્યું કે કાર્યક્રમમાં અમે જૂની અને નવી પેઢીના મનપસંદ ગીતોની રજૂઆત કરશું. હસરત જયપુરી ભલે જૂની પેઢીના ગીતકાર હોય પણ આજની પેઢીમાં પણ તેમનાં ગીતો એટલા જ લોકપ્રિય છે. અખ્તર જયપુરી કાર્યક્રમમાં આવી રહ્યા છે એનું કોઈ ખાસ કારણ? પ્રશ્નના જવાબમાં ઘનશ્યામ રાવલ કહે છે કે જામનગરમાં રહેતા મારા મિત્ર ચંદુભાઈ બારદાનવાલા હસરત જયપુરીના અંગત મિત્રોમાંના એક છે. ચંદુભાઈ થકી મારી ઓળખાણ અખ્તર જયપુરી સાથે થઈ. મેં હસરત જયપુરી સ્પેશિયલ કાર્યક્રમ અંગે જાણ કરી અને તેમને ઉપસ્થિત રહેવા વિનંતી કરી જે તેમણે સહર્ષ સ્વીકારી.

ઘનશ્યામ રાવલે જણાવ્યું કે તેઓ છેલ્લા અઢાર વરસથી કાર્યક્રમો આપી રહ્યા છે. તેમના કાર્યક્રમો માત્ર રાજકોટ પૂરકતા જ મર્યાદિત નથી, તેમણે અમેરિકા, યુકે અને કેનેડામાં પણ શો કર્યા છે.

Exit mobile version