ગુજરાતી ફિલ્મો, નાટકો, ટીવી સિરિયલો તથા મનોરંજનના અન્ય માધ્યમો સાથે છેલ્લા ચાર દાયકાથી પત્રકાર અને પ્રચારક તરીકે સંકળાયેલા ભૂપેન્દ્ર રાવલે તેમની યુ-ટ્યુબ ચૅનલ સિને સરિતાનો શુભારંભ રથયાત્રાના પવિત્ર દિવસ અષાઢી બીજથી કર્યો છે.
ગુજરાતીઓ વિશ્વમાં લગભગ દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહ્યા છે તેમ ફિલ્મ ઉધોગના પણ તમામ ફિલ્ડમાં ગુજરાતીઓ અગ્રેસર છે. ૧૯૩૨માં રિલીઝ થયેલી પહેલી ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતાથી શરૂઆત કરનાર ગુજરાતી ફિલ્મોદ્યોગ નવ દાયકાની સફર પૂર્ણ કરીને શતાબ્દીનાં દશકનાં પ્રથમ ચરણમાં પ્રવેશ કરી રહ્યો છે.
ગુજરાતી ફિલ્મોના ભવ્ય વારસાના આસ્વાદને માણો યુ-ટયુબ ચૅનલ “સિને સરિતા”ના માધ્યમથી, ૧૯૩રથી શરૂ કરીને નવ દાયકાની સફર તથા આવનારા સમયમાં ગુજરાતી ફિલ્મ ઉધોગની નવીનતાસભર વાતો, વીતેલા જમાનામાં ગુજરાતી ફિલ્મોનાં ચઢાવ-ઉતાર, કલાકાર-કસબીઓ, નિર્માતા, લેખક દિગ્દર્શકો, ગીત-સંગીત જેવી અનેક ફિલ્મી દુનિયાની અવનવી અને જાણી-અજાણી વાતોની રજૂઆત રસપ્રદ રીતે સિને સરિતામાં દર્શાવવામાં આવી રહી છે.
વીતેલા વર્ષોના અને આજના સમયની ફિલ્મોના નિર્માણ અને તેના વિશેની રસપ્રદ અને માહિતીસભર વાતો રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમનું સંચાલન હિન્દી-ગુજરાતી ફિલ્મની અભિનેત્રી ઈન્દુ સરકાર તથા સોની ટીવીના મશહૂર શો લાફટર ચેલેન્જના હાસ્ય કલાકાર અરવિંદ શુકલા કરી રહ્યાં છે. કાર્યક્રમની પરિકલ્પના શ્યામ શાહ અને પ્રાંશુ શાહની છે. સંશોધન સી. એમ. પટેલ, સૂત્રધાર રાજ ગાંધી, કેમેરા સંકલન પી.બી. દ્વારા કરવામાં આવ્યુ છે. કાર્યક્રમનું નિર્માણ સૂર શિવમ સ્ટુડિયો, અમદાવાદ ખાતે કરવામાં આવી રહ્યું છે.