ભક્તિ સાહિત્ય અને સંગીત જ્યારે એકબીજામાં ઓગળી જાય છે, ત્યારે જન્મે છે એવી રચના જે હૃદયને સ્પર્શે અને આત્માને શાંતિ આપે. યમુનાજી શ્યામના પગલા પખાળેને એવું જ એક ભજન છે, જેમાં રાધા–કૃષ્ણના અદૃશ્ય પરંતુ અખંડ સંબંધને કવિતાની સરસ લયમાં આલેખવામાં આવ્યો છે.
એવું કહેવાય છે કે રાધાજી ક્યારેય કૃષ્ણની યાદમાં રડ્યા નથી. કારણ પૂછીએ તો રાધાજી કહે છે… કૃષ્ણ તો મારી આંખોમાં જ સમાયેલો છે. આંખોમાં આંસુ આવે તો એ વહી જાય, અને કૃષ્ણ ક્યાંક દૂર ન થઈ જાય?
પણ કવિનું મન તો ભાવનાઓના ઊંડાણે પહોંચે છે. જ્યાં શબ્દો પહોંચી શકતા નથી, ત્યાં કવિતા પહોંચી જાય છે… “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ.”
મથુરાના કાંઠે કૃષ્ણ બેઠા છે અને સામે ગોકુળના કાંઠે રાધાજી. બંને વચ્ચે અંતર છે, પણ બંનેને જોડતો એક જ અખૂટ સેતુ છે… યમુનાજીનો પવિત્ર પ્રવાહ. એ પ્રવાહ જાણે કૃષ્ણના પગલા પખાળે છે અને સાથે સાથે રાધાના અશ્રુઓને પણ શાંત કરે છે. આ ભાવને કવિ મહેશ શાહએ અદભૂત રીતે શબ્દોમાં ગુંથ્યો છે…
યમુનાજી શ્યામના પગલા પખાળેને,
રાધાના આંસુઓને ખાળે…
આ સુંદર રચનાને મધુર સ્વર આપ્યો છે શિલ્પા નંદુએ અને સંગીતબદ્ધ કરી છે બકુલેશ ત્રિવેદીએ. પરિણામે, આ ભજન માત્ર સાંભળવા માટે નથી, પરંતુ અનુભવવા માટે છે—જ્યાં પ્રેમ, વિરહ અને ભક્તિ યમુનાના પ્રવાહમાં એકરૂપ થઈ જાય છે.
ગીત સાંભળવા નીચેની લિન્ક પર ક્લિક કરો









