ઇરફાન ખાન અને રિશી કપૂર વચ્ચે ગજબનો યોગાનુયોગ

બે દિવસમાં બૉલિવુડે બે દિગ્ગજ અભિનેતા ગુમાવ્યા. અચાનક અને ઉપરાછાપરી લાગેલા બે આચકાને કારણે બૉલિવુડ જ નહીં, ફિલ્મોના શોખીનો પણ અવાચક બની ગયા છે. તેમની પાસે લાગણી વ્યક્ત કરવા માટે શબ્દો રહ્યા નથી. જોકે આ બંને કલાકારોના મૃત્યુમાં પણ ગજબનો યોગાનુયોગ જોવા મળે છે.

બંને કલાકારને કેન્સર થયું અને તેમણે મહિનાઓ સુધી વિદેશમાં સારવાર લીધી. દૃઢ મનોબળ દ્વારા બંને કલાકારોએ કેન્સર જેવી બીમારીને માત આપી અને ભારત પાછા ફર્યા. તેમનો ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને અભિનય પ્રત્યેનો પ્રેમ કેટલો ગજબનો હશે કે આવી ગંભીર બીમારીમાંથી પાછા ફર્યા બાદ ઘરે આરામથી રહેવાને બદલે ફરી ફિલ્મોમાં સક્રિય થયા.

અમેરિકાથી આવ્યા બાદ રિશી કપૂરે જૂઠા કહી કા અને ધ બૉડી ફિલ્મ કરી. જ્યારે ત્રીજી ફિલ્મ શર્માજી નમકીનનું શૂટિંગ પૂરૂં થયું નથી. જ્યારે ઇરફાન ખાન લંડનથી પાછા આવ્યા બાદ એની અંગ્રેજી મીડિયમનું શૂટિંગ પૂરૂં કર્યું. અંગ્રેજી મીડિયમ રિલીઝ થયા બાદ લૉકડાઉન અમલમાં આવતા ફિલ્મને બે દિવસમાં જ ઉતારી લેવી પડી.

બંને કલાકારની તબિયત લૉકડાઉન દરમ્યાન જ લથડી અને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. યોગાનુયોગ જુઓ કે બંને કલાકાર અંબાણીની જ હોસ્પિટલમાં એડમિટ થયા હતા. ઇરફાન ખાનને કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તો રિશી કપૂરને મુકેશ અંબાણીની એચ.એન. રિલાયંસ ફાઉન્ડેશન હોસ્પિટલમાં એડમિટ કરાયા.

લૉકડાઉનને કારણે બંને કલાકારોની અંતિમવિધિમાં અંગત સ્વજનો અને મિત્રોને જ ઉપસ્થિત રહેવાની પરવાનગી આપવામાં આવી હતી. ઇરફાન ખાનની અંતિમવિધિમાં માંડ પચીસેક લોકો ઉપસ્થિત હતા. જ્યારે રિશી કપૂરના અંતિમ સંસ્કારમાં જોકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા પણ બંને કલાકારના ચાહકો એમના પ્રિય કલાકારને અંતિમ વિદાય આપવા હાજર રહી શક્યા નહોતા.

અંકશાસ્ત્રની દૃષ્ટીએ પણ ગજબનો યોગાનુયોગ

ઇરફાન ખાનનો જન્મ 1967માં થયો અને 53 વર્ષની વયે વર્ષ 2020માં અવસાન થયું.

એટલે 1967 + 53 = 2020

જ્યારે રિશીકપૂરનો જન્મ 1953માં થયો અને 67મા વર્ષે અવસાન થયું અને સાલ છે 2020.

1953 + 67 = 2020

Exit mobile version