સિત્તેરના દાયકામાં જેની બોલબાલા હતી એવી અભિનેત્રી શશીકલાએ આજે 94 વરસની ઉંમરે આજે (રવિવારે) બપોરે બાર વાગ્યે છેલ્લા શ્વાસ લીધાં હતાં. તેમણે લગભહગ સો જેટલી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે લાંબા અરસાથી તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથઈ દૂર રહ્યાં હતાં. મહારાષ્ટ્રિયન પરિવારમાં જન્મેલાં શશીકલાનું પૂરૂં નામ શશીકલા જાવલકર હતું.
શશીકલાનો જન્મ 4 ઓગસ્ટ 1932મા સોલાપિર ખાતે થયો હતો. શશીકલાએ એની જીવનમાં અનેક ઉતાર-ચઢાવ જોયા હોવા છતાં એમનું બાળપણ ઘણું સારૂં વીત્યું. શશીકલાના પિતા મોટા ઉદ્યોગપતિ હતિ. તેઓ છ ભાઈ-બહેન હતાં.
શશીકલાની ડાયલોગ ડિલિવરીની સ્ટાઇલની સાથે ભ્રુકુટી અને આંખો નચાવી અભિનય કરવાની સ્ટાઇલ પર અનેક યુવાનો ફિદા હતા. અને એની આ સ્ટાઇલને કારણે ખલનાયિકા તરીકે જબરી ખ્યાતિ મેળવી. બૉલિવુડના એના જમાનાના લગભગ તમામ મોટા નિર્માતા-દિગ્દર્શક સાથે કામ કરી ચુકેલી શશીકલાએ સોથી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યુ હતું. ઉપરાંત પ્રાદેશિક ભાષાની ફિલ્મો અલગ.
એની જાણીતી ફિલ્મોમાં નૌ દો ગ્યારહ, કાનૂન, જંગલી, હરિયાલી ઔર રાસ્તા, અનપઢ, યે રાસ્તે હૈ પ્યાર કે, વક્ત, દેવર, અનુપમા, નીલકમલ, તીન બહુરાનિયાં, હમજોલી, સરગમ, ક્રાંતિ, રૉકી, બાદશાહ, કભી ખુશી કભી ગમ, ચોરી ચારી (2003) જેવી અનેક ફિલ્મો કરી હતી. તેમની છેલ્લી ફિલ્મ હતી 2005માં આવેલી પદ્મશ્રી લાલુપ્રસાદ યાદવ. ફિલ્મો ઉપરાંત શશીકલાએ ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. 2007માં ભારત સરકારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપેલા યોગદાન બદલ પદ્મશ્રી અવૉર્ડથી નવાજ્યાં હતાં. ઉપરાંત તેમને વી. શાંતારામ લાઈફ ટાઈમ અચીવમેન્ટ અવૉર્ડ પણ એનાયત કરાયો હતો.
ઘણાને ખ્યાલ નહીં હોય, પણ શશીકલાએ એક ગુજરાતી ફિલ્મ પણ કરી હતી. 1963માં આવેલી દિગ્દર્શક દિનેશ રાવલની ફિલ્મ સત્યવાન સાવિત્રીમાં કામ કર્યું હતું. તેમના સહકલાકારો હતા મધુ પ્રકાશ, સપ્રુ, જીવન અને મહેશ દેસાઈ.