બોલિવૂડના જાણીતા લેખક – દિગ્દર્શક પાર્થો ઘોષનું નિધન

હિન્દી ઉપરાંત બંગાળીમાં તેમણે અનેક ટીવી શો પણ દિગ્દર્શિત કર્યા હતા.

દિગ્ગજ ફિલ્મ સર્જક પાર્થો ઘોષના નિધનના સમાચારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ છે. ફિલ્મ અભિનેત્રી રીતુપર્ણો સેનગુપ્તાએ આ દુઃખદ સમાચારની સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી.
અગ્નિસાક્ષી અને ગુલામ-એ- મુસ્તફા જેવી સુપરહિટ ફિલ્મોના સર્જકનું હૃદય રોગના હુમલાને કારણે નિધન થયું હતું.
બોલિવૂડના સૌથી સફળ લેખકોમાંના એક એવા પાર્થો ઘોષે નેવુંના દાયકામાં અનેક હિટ ફિલ્મો લખવાની સાથે એનું દિગ્દર્શન પણ કર્યું હતું. તેમણે અગ્નિસાક્ષી (૧૯૯૬),  અને ગુલામ-એ- મુસ્તફા (૧૯૯૭), તીસરા કૌન? (૧૯૯૪) અને યુગપુરુષ (૧૯૯૮) જેવી સુપરહિટ ફિલ્મો આપી છે.

એક ઈમોશનલ મેસેજ શેર કરતાં રિતુપર્ણા સેનગુપ્તાએ લખ્યું કે, હું મારા દર્દને શબ્દો દ્વારા વર્ણવી શકતી નથી. આપણે એક અસાધારણ પ્રતિભા, એક દૂરદર્શી દિગ્દર્શક અને એક માયાળુ માનવી ગુમાવ્યો છે. પાર્થો દા, તમે સ્ક્રીન પર જે જાદુ દર્શાવ્યો છે એના માટે આપ હંમેશા યાદ રહેશો. ઈશ્વર આપના આત્માને શાંતિ અર્પે.
અનોખી ફિલ્મો, વાર્તા રજૂ કરવાની અનોખી શૈલી માટે જાણીતા પાર્થો ઘોષ અલગ પ્રકારની ફિલ્મો બનાવવામાં માહેર હતા.
મનીષા કોઈરાલા અને નાના પાટેકર અને જેકી શ્રોફ અભિનીત તેમની ફિલ્મ અગ્નિ સાક્ષી ઘરેલું હિંસા પર આધારિત હતી. તો નાના પાટેકર અને રવિના ટંડનની ગુલામ-એ- મુસ્તફા એક કલ્ટ ક્લાસિક ફિલ્મ હતી જેમાં અંધારી આલમની વાત બખૂબી દર્શાવાઈ હતી.

હિન્દી ઉપરાંત બંગાળીમાં તેમણે અનેક ટીવી શો પણ દિગ્દર્શિત કર્યા હતા. રિતુપર્ણો સેનગુપ્તાને પાર્થો દા એ જ બૉલીવુડમાં ઇન્ટ્રોડ્યુસ કરી હતી. હાલ તેઓ ૧૦૦ ડેઝ અને અગ્નિ સાક્ષીની સિક્વલ પર કામ કરી રહ્યા હતા. પાર્થો દા એ એક દિવસ પહેલાં જ તેમનો ૭૫મો કન્મદિવસ ઉજવ્યો હતો.

Exit mobile version