ક્રાંતિવીર : ફિલ્મનો વિષય 26 વરસ બાદ પણ એટલો જ સુસંગત

22 જુલાઈ, 1994ના દિવસે એક ફિલ્મ રિલીઝ થઈ. ક્રાંતિવીર નામની આ ફિલ્મનો વિષય પચીસ વરસ બાદ એટલો જ સુસંગત છે. ફિલ્મના સંવાદો પણ આજના ભારત માટે બરોબર બંધબેસતા છે. નાના પાટેકરના સંવાદો આટલા વરસો પછી પણ ફિલ્મ જોનારના રૂંવાટા ખડા કરી દે એવા છે. ચાલો નાના પાટેકરના થોડા સંવાદોની મોજ લઈ લેખ આગળ વધારીએ…

ક્રાંતિવીરમાં નાના પાટેકર ઉપરાંત ડિમ્પલ કાપડિયા, માધુરી દીક્ષિત, અતુલ અગ્નિહોત્રી, મમતા કુલકર્ણી, ડેની ડેન્ઝોંગ્પા, પરેશ રાવલ, ફરિદા જલાલ, ટીનુ આનંદ, શફી ઇનામદાર, મહેશ આનંદ, સુજિત કુમાર, વિજુ ખોટેની સાથે મેહુલ કુમારે પોતે વકીલની ભૂમિકા ભજવી હતી.

મલ્ટી સ્ટારર હોવા છતાં ફિલ્મનો બધો ભાર નાના પાટેકરે એના ખભા પર ઊંચકી લીધો હતો. અને એટલા માટે જ ક્રાંતિવીર હાર્ડકોર કૉમર્શિયલ ફિલ્મ હોવા છતાં નાના પાટેકરને આ ફિલ્મના અભિનય માટે નેશનલ અવૉર્ડ મળ્યો હતો.

ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક મેહુલ કુમારની સુપરડુપર હિટ ફિલ્મ 30 મિલિયનમાં બની હતી અને 206 મિલિયન રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આજે પણ ક્રાંતિવીર તમામ ચૅનલો પર સમયાંતરે દર્શાવવામાં આવે છે.

મુંબઈમાં થયેલા કોમી રમખાણો પર આધારિત ફિલ્મની વાર્તા એક એવી વ્યક્તિની છે જે અન્યાય સામે માથું ઉંચકે છે. પણ અંધારી આલમની સાથે રાજકારણીઁઓના છટકામાં ફસાયેલા પ્રતાપને જાહેરમાં ફાંસીના માંચડે લટકાવવાની સજા થાય છે.

ક્રાંતિવીર ફિલ્મની રિલીઝને 26 વરસ પૂરા થયા ત્યારે મેહુલ કુમારે જણાવ્યું હતું કે ક્રાંતિવીર સમાજના તમામ વર્ગના લોકોને સ્પર્શતી વાત હોવાની સાથે એના આગ ઝરતા સંવાદોએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. દર્શકોએ કદી આવા સંવાદો સાંભળ્યા નહોતા. એ સમયે ઘણાને લાગતું હતું કે ફિલ્મ પર પ્રતિબંધ મુકાઈ શકે છે. કારણ, એમાં વેપારી, રાજકારણીથી લઈ દરેક વર્ગને ખુલ્લા પાડ્યા હતા.

મેહુલ કુમારે તેમની કરિયરની શરૂઆત આમિર ખાનના કાકા તાહિર હુસેનની હિન્દી-ગુજરાતી દ્વિભાષી ફિલ્મ જનમ જનમના સાથી (ગુજરાતી) અને ફિર જનમ લેંગે હમ (હિન્દી)થી કરી હતી. જનમ જનમના સાથી ફિલ્મ સુપરહિટ થયા બાદ મેહુલ કુમારે સુપરહિટ ગુજરાતી ફિલ્મોની વણઝાર આપી. અઢાર કરતા વધુ ગુજરાતી હિટ ફિલ્મ આપ્યા બાદ મેહુલ કુમાર ફરી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા બીજી ઇનિંગ શરૂ કરી. તેમની પહેલી ફિલ્મ હતી અનોખા બંધન (1982). ત્યાર બાદ તેમણે પાછા વળીને જોયું નહોતું. એ પછી તેમણે બૉલિવુડના દિગ્ગજ કલાકારો ધર્મેન્દ્ર, જિતેન્દ્ર, રાજકુમાર, નાના પાટેકર, અનિલ કપૂર, મીનાક્ષી શેષાદ્રી, શબાના આઝમી, માધુરી દીક્ષિત, શત્રુઘ્ન સિંહા, મેહમુદ, ફિરોઝ ખાન સહિત અનેક કલાકારો સાથે કામ કર્યું.

મેહુલ કુમારની 1987માં આવેલી રાજકુમાર, ગોવિંદા, ફરાહ અભિનીત મરતે દમ તક બ્લૉકબસ્ટર ગોલ્ડન જ્યુબિલી ફિલ્મ હતી. ત્યાર બાદ જંગબાઝ, નફરત કી આંધી, જેવી અનેક ફિલ્મો બનાવ્યા બાદ તેમની બીજી સુપરડુપર હિટ ફિલ્મ તિરંગા આવી. જેમાં નાના પાટેકરની સાથે રાજકુમાર જેવા સંવાદના શહેનશાહ રાજકુમારની અભિનય અને ડાયલોગ ડિલિવરીની જુગલબંધી જોવા મળી હતી.

Exit mobile version